અમદાવાદ શાખા
૧) લતા સોની કાનુગા
શીર્ષક : શ્રીફળ
શબ્દ સંખ્યા-૬૫૨
દરેક ધર્મમાં પ્રતિકનું મહત્વ હોય છે. પહેલાં થોડી પુર્વ ભૂમિકા રૂપે પ્રતિક અને તેનાં મહત્વ વિશે કહું.
હિન્દુ સંસ્કૃતિમાં પ્રતિકોનું ખૂબ મહત્વ છે. ભગવાનને આપણે નિરાકાર ને આકાર એમ બે ભાવથી પુજીએ છીએ. આપણે ભગવાનને જે આકાર ભાવથી પુજીએ છીએ એ પણ એમનાં સ્વરૂપના પ્રતિકોની જ પૂજા કરએ છીએ. કોઇએ ભગવાનને જોયા નથી છતાં એ દરેક ભગવાનનાં અલગ અલગ પ્રતિકને લીધે ભગવાનને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. જેમ કે શિવજીને લિંગ સ્વરૂપે પણ ઓળખીએ છીએ.
એ જ રીતે હિન્દુ ધર્મમાં પૂજન અર્ચન માટેનાં પણ અલગ અલગ પ્રતિકો હોય છે. દરેક પ્રતિકોનું આગવું સ્થાન છે.
મને સહુથી વધારે પ્રતિક સ્વરૂપે શ્રીફળ ગમે. એથી જ હું તો શ્રીફળ વિશે જ કહેવાનું પસંદ કરીશ. સાચું કહું તો મને સહુથી વધારે આ પ્રતિક ગમે. કેમ કે નાનપણથી જોયું છે કે શ્રીફળનો ઉપયોગ ધાર્મિક સાથે જીવન જરૂરિયાત તરીખે પણ ભરપૂર થાય છે. બરાબર છે કે ધાર્મિક પ્રતિકો પૂજનીય હોય, પણ આ એક જ પ્રતિક એવું છે કે પૂજનીય હોવા સાથે એનું અમુક સમયે જ મહત્વ ન રહેતાં સહજતાથી એનો વપરાશ પણ થાય છે. એ વાત જ મને પોતાની જાતને ઘડવામાં શીખવી ગઈ કે કોઇપણ રીતે આપણે સહુ માટે ઉપયોગી રહેવું જોઇએ.
દરેક પ્રકારની પૂજા અર્ચના, સારાં માઠાં પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે. બાળકનાં જન્મ પછીનાં નામકરણ વિધીથી લઈને મૃત્યુ સુધીનાં દરેક પ્રસંગે શ્રીફળ વગર ન ચાલે. અને એટલે જ શ્રીફળનું આટલું બધું મહત્વ કેમ છે એ વિશે જણાવવું વધુ ગમશે.
શ્રી એટલે લક્ષ્મી. લક્ષ્મી જેમ જીવનમાં સતત ઉપયોગી છે એમ જ શ્રીફળ પણ આપણાં જીવનમાં સતત ઉપયોગી છે. એનાં દરેક ભાગનું આગવું મહત્વ છે, અને આપણને દરેક ભાગ કૈક શીખવી જાય છે.
બહારથી કડક અંદરથી પોચું. બહારથી બરછટ અંદરથી મુલાયમ. એ આપણને એ વાત શીખવે છે કે ભલે વ્યવહારિક રીતે કડક હોવાનો ડોળ કરો તો પણ જરૂર પડે કુટુંબ કે સમાજમાં પોતાનાં સ્વભાવની મૃદુતાથી વહાલ કરો…નરમાશથી કામ લો. ઘરમાં પિતા મોટે ભાગે શ્રીફળ જેવા જ હોય છે. એમની કડકાઈને લીધે બધા ડરે. પણ તેમનુ કોમળ હૈયું કેવું હોય છે એનો અહેસાસ દીકરીની વિદાય વેળાએ થયાં વગર ન રહે.
શ્રીફળનાં ઝાડને નાળિયેરી કહેવાય છે એટલે એના ફળને નાળિયેર પણ કહેવાય છે. શ્રીફ્ળનું ઝાડ પાતળું અને ખુબ ઊંચું હોય છે છતાં વજનદાર ફળોથી લથબથ હોય તો પણ લચી નથી પડતું. જાણે કુટુંબનો મોભી આખા કુટુંબનો ભાર પોતાને શિરે રાખે તોયે છાતી કાઢીને ચાલે. ઝાડથી લઇને એની દરેક વસ્તુ જીવનમાં ઉપયોગી છે. એનાં પાનની સળીઓમાંથી આંગણું વાળવાનું ઝાડુ બને. શ્રીફળનાં બહારનાં છીલ્ટા કે રેસાનો પણ ઉપયોગ પગ લુંછણીયાથી માંડીને સુવાની પથારીમાં પણ થાય છે.
શ્રીફળનો ભગવાનને ધરી એનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે. એ માટે પુરાણમાં ઋષિમુનિઓએ કઈ રીતે પ્રતિકાત્મક ઉપયોગ શરુ કર્યો એ વાતની શ્રી પાંડુરંગજી આઠવલેજીએ એમનાં પ્રવચનમાં તથા એમના પુસ્તક ‘સંસ્કૃતિ પૂજન’માં પણ ખુબ સારી રીતે સમજ પાડી છે.
પહેલાં ભગવાનને ભોગ રૂપે માનવ વધ થતો. એ અટકાવવાનાં ભાગ રૂપે ૠષિમુનિઓએ શ્રીફળનો ઉપયોગ શરુ કયોઁ. પુરુષની જેમ શ્રીફળ બહારથી કડક હોય છે. માનવનો ભોગ લેવાતો ત્યારે શીશનો ભાગ ભોગ તરીકે ધરવામાં આવતો અને એની ઉપર એના રકતના છાંટા કરાતાં. એની જગાએ શ્રીફળનો ઉપરનો ભાગ ભગવાનને ધરવામાં આવે છે અને નીચેનો ભાગ માનવજાત પ્રસાદ રૂપે આરોગે છે. રકતની જગાએ શ્રીફળના પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
શ્રીફળ આપણને આપણે કેવું જીવન જીવવું જોઇએ એ શીખવે છે. આ ફળ દરિયા કિનારે થાય છે એટલે સ્વાભાવિક જ જમીનમાંથી ખારું પાણી ગ્રહણ કરે છે છતાં આપણને મીઠું પાણી આપે છે એ વાતથી એ શીખ આપે છે કે દુનિયામાં કડવા મીઠાં અનુભવ આપણને થાય પણ આપણે દુનિયાને મીઠાસ જ આપવી જોઇએ. કોઈવાર ખોપરાની જેમ મીઠું ને મુલાયમ તો કોઈવાર એનાં પાણીની જેમ મીઠાસનો અહેસાસ કરાવવો. ખોપરું લીલુ કે સુકુ હોય, એનો ખોરાકમાં પણ ભરપૂર ઉપયોગ થાય છે. ખોપરાને ગોળ સાથે ખાવાની મજા માણવા જેવી હોય છે. સુવાવડીને ધાવણ વધારે આવે એટલે એનાં મુખવાસ…વસાણામાં ઉપયોગ કરી ખવડાવવામાં આવે છે. માથામાં વાળને મુલાયમ અને વધારવા માટે પણ નાળિયેરનાં તેલનો ઉપયોગ થાય છે. દરિયા કિનારાનાં લોકો તો નાળિયેરનાં તેલનો ઉપયોગ ખાવામાં પણ કરે છે. શ્રીફળની શિખાને બાળી એની ભસ્મનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.
આમ આ ફળ આપણને જીવનમાં આપણે તન મન ધનથી સમાજમાં ઉપયોગી થવું જોઇએ એ પાઠ શીખવે છે.
__________________________________
૨) તેજલ શાહ
શીર્ષક: સ્વસ્તિક
શબ્દ સંખ્યા: ૨૧૭
સાથિયા પૂરાવો રાજ…
નવરાત્રી દરમિયાન આ ગરબો આપણને સાંભળવા મળે જ. આમાં સાથિયો એટલે કે સ્વસ્તિક એ આપણાં હિન્દુ ધર્મનું મંગલ ભાવના દર્શાવતું પ્રતિક છે.
સ્વસ્તિકને ભક્તો પોતાનાં કાર્યની શરૂઆતમાં અને મંગળ કામનાં માટે બનાવે છે તેથી તે ભગવાન ગણેશજીનું સ્વરૂપ પણ ગણાય છે. સ્વસ્તિકને ધનની દેવી લક્ષ્મી એટલે કે શ્રીનું પ્રતિક પણ માનવામાં આવે છે. કોઇપણ પ્રતીકમાં અનેક અર્થ અને તેની પવિત્ર ભાવનાની મહેક છુપાયેલી હોય છે. આવું જ એક પ્રતિક છે આપણો જાણીતો સાથિયો એટલે કે સ્વસ્તિક. હિન્દુ ધર્મમાં નાનો મોટો કોઈપણ પ્રસંગ હોય સૌ પ્રથમ શુકનનાં પ્રતિક રૂપે સ્વસ્તિકનું ચિહ્ન દોરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ સ્વસ્તિક એ એક હકારાત્મક ઉર્જા આપતું મંગળ અને કલ્યાણકારી પ્રતિક છે.
આ સ્વસ્તિક એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક અનોખું પ્રતિક છે. કોઇપણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન કરવાની મંગળ ભાવના આ પ્રતિક સાથે સંકળાયેલી છે.
સ્વસ્તિક શબ્દ સુ અને અસ્તિ આ બંને શબ્દોથી મળીને બનેલો છે.સુ નો અર્થ શુભ અને અસ્તિનો અર્થ થવું એટલે કે જેનાથી શુભ કલ્યાણ થાય તે જ સ્વસ્તિક.
સ્વસ્તિક સાથે જેમ ધાર્મિક માન્યતા જોડાયેલી છે એવી જ રીતે આ ચિહ્ન નું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે. જો સ્વસ્તિકને સાચી દિશામાં તેના ચારેય પાંખિયા દોર્યા હશે તો એ સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. યોગ્ય રીતે દોરાયેલ સ્વસ્તિક સ્થાનની પવિત્રતા, હકારાત્મક ઉર્જા અને વ્યક્તિની સુરક્ષા કે રક્ષણ કરવામાં મદદ કરે છે.
આમ આ સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું એક અનોખું પ્રતિક છે.
__________________________________
૩) સ્વાતિ શાહ
શિર્ષક: દીપકનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મુલ્યાંકન.
શબ્દ : ૨૬૫.
” મનોહર દીપજ્યોતિ સિવાય
અન્ય કઈ વસ્તુ ઘરને શોભાવશે?
ગહન જ્ઞાનપ્રકાશ સિવાય
અન્ય કઈ વસ્તુ મનને આભુષિત કરશે?”
આમ સ્વામી ચિન્મયાનંદ કહી ગયાં છે. આપણે ભારત ભરમાં લગભગ દરેક ઘરે ભગવાન આગળ કે ઘરનાં ઉમરે દીપક કરવામાં આવે છે. ઘણાં ઘરમાં સવાર અને સાંજના એમ બે વાર દીપક મુકવામાં આવે છે.
કેટલાકને ત્યાં તો અખંડ દીપક પણ રાખવામાં આવે છે. એવું નથી કે એકલા હિન્દુ ધર્મ માં જ દીપકનું મહત્વ છે. ઈસાઈ ધર્મ માં મીણબત્તી સળગાવે છે.
કોઈ પણ સારા કામનો આરંભ કરવાનો હોય તો દીપપ્રાગટ્ય કરી આરંભ થાય છે. દીપકનો પ્રકાશ એ જ્ઞાનનું પ્રતિક છે અને અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક. ઈશ્વર એ જ્ઞાનનું ઉદ્ભવસ્થાન, જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી છે માટે જ દીપકની આરાધના કરવામાં આવે છે.
આપણે પ્રસંગની શરુઆત વીજળીનો ગોળો કે ટ્યુબલાઈટ કેમ નથી કરતા? એ પણ અંધકારનો નાશ તો કરે જ છે. ઘીના અને તેલના દીવાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. દીપકની જ્યોત સદાય ઊર્ધ્વગામી હોય છે. જેથી આપણાં આદર્શ ઉચ્ચ પ્રગતિ કરે છે. એક દીપકથી ઘણાં દીપક પ્રજ્વલિત કરી શકાય અને જ્ઞાનનો ફેલાવો કરી શકાય.
આધ્યાત્મિક વાતો તો ઘણી બધી છે. હવે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તેલ કે ઘી નો પ્રજ્વલિત દીપક પાસે જતાં સુક્ષ્મ જંતુઓ નાશ પામે છે. દીપક પ્રગટાવીએ એટલે વાતાવરણમાં ઇલેક્ટ્રો મેગનેટીક કિરણો પ્રકાશ માં ફેલાય છે, જેના કારણે બધાના મન ખુશખુશાલ રહે છે. એક પ્રકારની શાતાનો અનુભવ થાય છે.
કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સૌપ્રથમ દીપક પ્રગટાવવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. મૃત્યુ પામેલી વ્યક્તિ ના શરીરમાં બહુ જ ઝડપથી જંતુઓ જન્મવા લાગે છે. તે જંતુઓ ના મારણ તરીકે પ્રગટાવેલો દીપક કાર્ય કરે છે.
આમ દીપક કરવાની પરંપરા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અર્થના ભંડારથી ભરેલો છે.
__________________________________
૪) અર્ચિતા દીપક પંડ્યા
શીર્ષક: શ્રીફળ
શબ્દ સંખ્યા: ૪૪૧
શ્રીફળ, નામ જ કેટલું શુભ છે? શ્રી એટલે જ સૌંદર્ય, સંપત્તિ, ભવ્યતા. લક્ષ્મીજીનું એક નામ એટલે શ્રી. અને શ્રી ફળ એટલે શુભ ફળ.
શ્રીફળને પવિત્ર મનાય છે અને પૂજાવિધિ તેમજ સારા પ્રસંગે થતી ખાસ પૂજામાં એ વપરાય છે. એટલું જ નહીં કુંભ સાથે એનું અસ્તિત્વ જોડાયેલું છે. શ્રીફળ આપવું, એ સગાઈની વિધિ ગણાય છે, વાસ્તુ પૂજનના કુંભ સ્થાપનમાં એનું સ્થાન હોય છે, અને ખોળો ભરવાના પ્રસંગમાં પણ શ્રીફળનું વિધિમાં સ્થાન હોય છે. તો આ ફળ એક ખાસ મહત્ત્વ તો ધરાવે છે જ. એટલું જ નહીં નાગપાંચમે અને મંદીરોમાં દેવ-દેવીઓનાના પ્રસાદ તરીકે શ્રીફળ વધેરવામાં આવે છે. તહેવાર હોય, નવું વાહન ખરીદ્યુ હોય, ગૃહપ્રવેશ હોય કે ઉદ્ઘાટન હોય, તો શ્રીફળ પ્રસ્તુત થાય છે કે વધેરવામાં આવે છે. એટલે આમ જુઓ તો સ્વસ્તિક, દીપક કે કુંભની જેમ શ્રીફળ પણ આધ્યાત્મિક ચિહ્ન અને પવિત્રતાનું પ્રતીક ગણાય છે.
નાળિયેરને શ્રીફળ કહેવા પાછળ એવું જ કે એ પવિત્ર ગણાય છે, ઉપરાંત અનેક રીતે ઉપયોગી છે. નાળિયેરીનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન છે. કારણ માત્ર ફળ જ નહીં પણ નાળિયેરીની દરેક વસ્તુ, જેવી કે પાન, ફળ, નાળિયેર જટા અને થડ, આપણાં ઉપયોગમાં આવે છે. શ્રીફળ ધરતીમાંથી પાણી ગ્રહણ કરીને એકદમ મીઠા પૌષ્ટિક પાણીમાં બદલી નાખે છે. એવી જ રીતે જીવનમાં જે કંઈ બને છે એને ગ્રહણ કરીને આપણે મીઠાશ નીપજાવવી એવો સંકેત છે. ઘણી આયુર્વેદિક દવાઓ પણ નાળિયેરમાંથી બને છે.
નાળિયેર પરના ત્રણ નિશાનને લીધે શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. અને કલશ સ્થાપન સાથે ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણાય છે. હનુમાનજી તથા માતાજીની પાસે પ્રસાદ રૂપે નાળિયેર વધેરાય છે.
આમ જોઈએ તો શ્રીફળ એ આપણી પૂજાનું અભિન્ન અંગ છે. અને આપણાં બધાં આધ્યાત્મિક ચિહ્નોમાં તેનું એક અગત્યનું સ્થાન વણાયેલું છે.
નાળિયેર આપણી ઈચ્છાપૂર્તિ કરવા માટે પ્રભુને પ્રસન્ન કરવા અર્પણ થાય છે. પ્રભુ તો રીઝે જ, પણ એક હેતુ એવો પણ લાગે છે કે નૈવેદ્ય તરીકે જલ્દી બગડે નહીં એવી વસ્તુ હૌય તો વધારે લોકોને લાભ મળે. અને તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ એકદમ સરસ પ્રસાદ અને એ પ્રસાદ બ્રાહ્મણના ઘરમાં જાય તો પણ અનેક રીતે ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક પણ રહે.
પહેલાના સમયમાં બલિ ચડાવવાનો પણ રિવાજ હતો. જે પ્રથાની અવેજીમાં પણ શ્રીફળ વધેરવાની પ્રથાએ સ્થાન લીધું. એ રીતે આપણી અમાનવીય પ્રવૃત્તિઓ ઈશ્વરને સમર્પિત કરવાનું પણ પ્રતીક કહી શકાય. નાળિયેરના રેસા દૂર કરવાથી તે મસ્તિષ્ક જેવું લાગે છે. એ રીતે એ આપણા અહમ્ ના ખંડન રુપે પણ નાળિયેર વધેરવાની વિધિ કહી શકાય. નાળિયેરનું પાણી આપણી અત્યધિક ઈચ્છા અને વાસનાનું પ્રતિક છે, તો સફેદ ભાગ એ મનનું પ્રતીક છે. જે આપણે પ્રભુને અર્પણ કરી ફરી પ્રસાદ રુપે ગ્રહણ કરીએ છીએ. નાળિયેરનું પાણી અભિષેક માટે પણ વપરાય છે. જે આધ્યાત્મિક જ્ઞાનની વૃદ્ધિ કરાવનારું મનાય છે. આમ, શ્રી ફળ ઘણું જ શુભ એવું આપણું આધ્યાત્મિક ચિહ્ન છે.
__________________________________
૫) રશ્મિ જાગીરદાર
શબ્દો- 225
શ્રીફળ
આ ફળને શુભ માનવામાં આવે છે અને તેથી તેને શ્રીફળ કહેવામાં આવે છે. તે નાળિયેરીના ઝાડ પર થતું હોવાથી નાળિયેર તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષ ધણું ઉંચું અને મજબુત હોય છે. છેક ઉપરના ભાગમાં ઘણાં બધાં ફળો થતાં હોય છે છતાં વૃક્ષ ઝુકતું નથી.
આ ફળ શુભ હોવાથી તેને પૂજામાં વાપરવામાં આવે છે. પ્રસાદ તરીકે ધરાવાય છે. ઘણાં મંદિરોમાં તેને આખું રમતું પણ મુકી દેવામાં આવે છે. શ્રીફળ એવું ફળ છે જે જીવનના દરેક તબક્કે વાપરી શકાય છે. બાળકના જન્મ સમયના શુભ પ્રસંગે, છઠ્ઠીના દિવસે, જન્મ દિવસે, વિવાહ પ્રસંગે તેમજ લગ્નના શુભ અવસરે તો શ્રીફળ અત્યંત જરૂરી છે જ. માતાજીના ગરબા હોય, હોળી હોય કે પછી દિવાળી, શ્રીફળનું સ્થાન આગવું જ હોવાનું. માનવ જીવનના દરેક પ્રસંગે વણાઈ ગયેલું કોઈ એક ફળ એટલે શ્રીફળ. એટલે સુધી કે, કોઈના મૃત્યુ પ્રસંગે પણ તે હોય જ.
નાળિયેરના બીજા ઉપયોગ પણ ઘણા છે. તેના પાનમાંથી સાદડી બને છે. તેના કુચા ગાદી તેમજ તકીયા બનાવવા વપરાય છે. તેની અંદરનું પાણી એક અદ્ભુત પીણું છે. કોપરૂં ખાવામાં તેમજ પ્રસાદ તરીકે ઉપયોગી છે. કોપરાપાક, પુરણપોળી, ઘુઘરા જેવી મીઠાઈઓ પણ તેમાંથી બને છે. એટલે જ કદાચ ફળોમાં હું શ્રીફળ છું તેવું ભગવાને કહ્યું હશે. ઉપરથી સખત અંદરથી નરમ અને વચ્ચે મીઠું જળ તેની આ તાસીરના લીધે તે એક ખાસ ફળ છે.
__________________________________
૬) ચેતના ગણાત્રા “ચેતુ”
શીર્ષક : સ્વસ્તિક
શબ્દ સંખ્યા : ૧૮૪
મંગલકારી શુભ લાભ ચોઘડિયા હરખાય,
દેવતા બિરાજમાન હોય, સ્વસ્તિક સોહાય.
આવું દિવ્ય પ્રતિક સ્વસ્તિક ઐતિહાસિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રમાણોને આધારે, સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ રૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે.
‘સ્વસ્તિક’ સંસ્કૃત શબ્દ ‘ સ્વસ્તિકા’થી લેવાયો છે જેનો અર્થ થાય છે ખુશાલી. સ્વસ્તિક શબ્દ ‘ સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ એટલે સારું, કલ્યાણમય, મંગલ અને અસ્ એટલે સત્તા, અસ્તિત્વ એટલે કલ્યાણની સતા. આમ સ્વસ્તિક એટલે મંગળ કરવાવાળા. જયાં-જયાં શ્રી છે, શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં-ત્યાં સ્વસ્તિ ભાવના છે.
સ્વસ્તિકના ચાર ભાગ ચતુર્વિધ પુરુષાર્થમાં સફળતાની ભાવના દર્શાવે છે. ચારેય યુગમાં કલ્યાણ દર્શાવે છે. સ્વસ્તિકમાં જે ચાર ટપકાં કરવામાં આવે છે. તે સૂર્ય, ચંદ્ર, અને બ્રહ્માંડના પ્રતિક છે.
યજુર્વેદમાં સ્વસ્તિકનો મંત્ર સ્વરૂપે ઉલ્લેખ છે.
स्वस्ति न: इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:
स्वस्ति नस्तोर्क्ष्यो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पतिर्दधातु ।।
શ્લોકનો અર્થ: મહાન કીર્તિવાળા ઈન્દ્ર અમારું કલ્યાણ કરો, વિશ્વના જ્ઞાનસ્વરૂપ પૂષાદેવ અમારું કલ્યાણ સાધો. જેમનું હથિયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન, અમારું મંગળ કરો. બૃહસ્પતિ અમારું મંગળ કરો.
આવા પ્રકારની શ્લોક રચના કરવી એ સામાન્ય માણસ માટે શક્ય નથી. તેથી ઋષિઓએ તેમને એક ચિન્હ આપ્યું. અને તે ચિન્હ એટલે “સ્વસ્તિક.”
__________________________________
૭) આરતી સોની @રુહાના
શબ્દો : ૫૨૦
શીર્ષક : શ્રીફળ
આપણી ભારતીય સંસ્કૃતિમાં શ્રીફળના વૃક્ષને સંસ્કૃતમાં ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે. શ્રીફળને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે.. તેથીજ તેનો ઉપયોગ પૂજા અને મંગલ કાર્યોમાં થાય છે. શ્રીફળ મહંદઅંશે પ્રસાદી રૂપે અથવા આખે આખું ભગવાનને કે માતાજીને અર્પણ કરવામાં આવે છે.. શ્રીનો અર્થ લક્ષ્મી થતો હોવાથી હંમેશા સર્વે કાર્ય શ્રીફળ વધેરીને જ કરવાથી તિજોરી હંમેશા ભરી રહે છે.. સનાતન ધર્મમાં શ્રીફળને મંગલસૂત્ર પણ કહેવામાં આવ્યું છે.
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડે છે.. શ્રીફળની ઉપરની સપાટી સખત અને નીચેની સપાટી નરમ છે, એ દર્શાવે છે કે, શ્રીફળ વધેરવું એટલે આપણા અહંકારને તોડીને મુલાયમતાના દર્શન કરવા સમાન છે..
શુભ કાર્યોમાં એટલે જ ભક્તિ હોય કે ગૃહ પ્રવેશ કે પછી, નવી કાર કે નવો ધંધામાં કોઈપણ કામ શ્રીફળ વધેરી કરવાથી અનિષ્ટ તત્ત્વો નાશ પામે છે.. શ્રીફળમાંના ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે શ્રીફળ વધેરી એના પવિત્ર જળનો ચારે બાજુ છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.. અને આપણી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
તેનું પાણી પણ ખુબ જ ગુણકારી હોવાથી ઔષધિ રૂપે ઉપયોગમાં લઈ શકાય છે. નારિયેળનું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી, સી વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. સતત એડકી આવવી, દમની તકલીફ, નસકોરી ફુટવી, ખીલના ડાઘ, અનિંદ્રા, માથાનો દુ:ખાવો, માથાનો ખોડો, ગર્ભાવસ્થામાં, પેટમાંના કૃમી થવા, યાદશક્તિમાં વધારો કરે આમ અસંખ્ય ઘરઘથ્થુ ઉપચાર માટે ઉપયોગી સાબિત થયું છે..
શ્રીફળને ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ, રાહુ, શનિની મહાદશા અને જાદુ ટોના વગેરેનો નાશ થાય છે..
જ્યારે ભગવાન શ્રી રામના વનવાસ કાળ પૂર્ણ થયા બાદ અયોધ્યામાં એમનું શ્રીફળ દ્રારા સામૈયું કરવામાં આવ્યું હતું.. જે આજેપણ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણના શિલાન્યાસના ઐતિહાસિક દિવસે સાક્ષી સ્વરૂપે અને વિધ્નહર્તા તરીકે શ્રીફળ વધેરવામાં આવ્યું, જે ઈતિહાસના પાને અંકિત થયું છે..
__________________________________
૮) અલ્પા વસા
શીર્ષક : દીપ જ્યોત
શબ્દ સંખ્યા : ૨૦૦
शुभं करोतु कल्याणमारोग्यं धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते॥
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥
એટલે દીપકની જ્યોત શુભ અને કલ્યાણ કરનારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, શત્રુનો નાશ કરનારી છે. એ દીપ જ્યોતિને મારા નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે. જનાર્દન છે. આપણા પાપ હરનારી છે તેને મારા પ્રણામ!
કોઈ પણ પૂજાનું સૌથી પહેલું ચરણ ઘીનો દીપક પ્રગટાવવાથી જ થાય છે. પૂજા શરૂ થાય ત્યારે પ્રગટાવેલો દીવો, પૂજા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રજ્વલિત રહે તેનું ખૂબ ધ્યાન રખાય છે. ઘરમાં રોજ સવારે અને સાંજે દીપક પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. દીપકના પ્રકાશ પૂંજથી તમસ્ દૂર થાય છે, અને ત્યાં માંગલ્ય છવાય છે, સર્વત્ર શુભ થાય છે.
પાપનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન દૂર કરનાર દીપકની જ્યોત છે. દીપક આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવે છે, અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. દરેક દેવસ્થાનને તો દીવા થાય જ છે. ઘણા ઘરોમાં પાણીયારે અને તુલસી ક્યારે પણ દીપક પ્રગટાવવાની પ્રથા હોય છે. પ્રભુ પાસે માનતા પણ પાંચ, અગિયાર કે એકસો એક દીવાની મનાય છે.
તાજેતરમાં કોરોનાના કહેરના અંધકારને ભગાડવા સંપૂર્ણ ભારતવાસીઓએ એક સાથે, એક જ સમયે દીપક પ્રગટાવ્યો હતો. એની પાછળની ભાવના કોરોના રૂપી શત્રુનો નાશ કરવાની અને સૌનું શુભ અને કલ્યાણ થવાની જ હતી.
तमसो मा ज्योतिर्गमय।
__________________________________
૯) ભૈરવી યોગેશ મણિયાર
શીર્ષક: શ્રીફળ.
શબ્દો : 575.
શ્રીફળ અને કેળાં એ બંને ફળ પવિત્ર ગણાય છે. એનું કારણ એ છે કે, અન્ય ફળોની જેમ આ ફળો આપણે ખાઈને ફેંકેલા ઠળિયામાંથી નથી ઉગતાં. આથી શુદ્ધ ફળ તરીકે ભગવાનને ધરાવવામાં આવે છે.
શ્રીફળ એક એવું ફળ છે કે જેને લગભગ દરેક ધર્મમાં મહત્વનું સ્થાન મળ્યું છે. તો ચાલો, વિવિધ ધર્મમાં એનું મહત્વ સમજીએ :
હિંદુ ધર્મ એ વિશાળ ધર્મ છે. એમાં તમામ ધર્મોને સ્વીકારવાની ભાવના છે. અહીં અનેક દેવી દેવતાની પૂજા અર્ચના થતી હોવાથી એમાં વિધિવિધાનનું વૈવિધ્ય પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એ દરેકમાં શ્રીફળ એક આગવું સ્થાન ધરાવે છે.
બાળકના જન્મ પહેલાંની તૈયારી એટલે સીમંત વિધિમાં ગર્ભવતી સ્ત્રીને શ્રીફળ આપી એના ગર્ભની સુરક્ષા માટેની શુભેચ્છા અપાય છે. જોકે ગર્ભવતી સ્ત્રીને શ્રીફળ વધેરવા દેવાતું નથી. કેમકે, એને એક જીવનું પ્રતીક ગણવામાં આવ્યું છે. જોકે વૈજ્ઞાનિક રીતે એને શ્રીફળ વધેરવામાં લાગતો આંચકો ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.
બાળકના જન્મસમયે ભગવાનનો આભાર માનવા શ્રીફળ ધરાવાય છે.
કોઈપણ શુભપ્રસંગ હોય તો શ્રીફળ તો હોય જ ! કળશનું સ્થાપન, ગૃહપ્રવેશ, નવરાત્રિમાં ઘટસ્થાપન, અને એક આખું પાનું ભરાય એટલા બધા પ્રસંગે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ.
આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રભુચરણે શ્રીફળ વધેરીએ છીએ ત્યારે આપણા અહંકારનાં સખત આવરણને તોડીને વિનમ્રતાનો ભાવ ગ્રહણ કરીએ છીએ.
બાધા – આખડીમાં શ્રીફળને રમતું મૂકવામાં આવે છે. એની પાછળ એક જીવની મુક્તિનો ભાવ રહેલો છે કે જે આપણું ભલું કરશે !
તાંત્રિકો પણ મેલીવિદ્યા માટે શ્રીફળનો જ ઉપયોગ એક જીવ તરીકે કરે છે.
જૈન ધર્મમાં સંવતસરીનાં પ્રતિક્રમણને અંતે ધર્મલાભ ઇચ્છતા શ્રાવકો સૌને શુભેચ્છા તરીકે શ્રીફળ આપે છે. અને એમ કહેવાય કે એ શ્રીફળની મીઠાશ મુજબ નવું વર્ષ ફળશે.
તો ખ્રિસ્તી ધર્મમાં શ્રીફળને ભગવાન સાથે સરખાવાય છે. શ્રીફળ ઊંચા વૃક્ષ ઉપરથી પડે છે. તેને પ્રભુ ઈસુના મૃત્યુ બાદ થયેલ અવતાર સાથે સરખાવાય છે.
મુસ્લિમ, શીખ, વગેરે ધર્મમાં પણ શ્રીફળમાં આસ્થા રાખવામાં આવે છે.
શ્રીફળમાં રહેલા ઉત્તમ ગુણધર્મોને કારણે દરેક ધર્મમાં એનું આગવું સ્થાન છે.નારિયેળીનાં દરેક અંગની ઘણી ઉપયોગિતા છે. ચણતર માટે લાકડું, સાવરણી, પગલૂછણિયાં, કલાત્મક વસ્તુઓ, દાગીના, વગેરે માટે એનાં પર્ણો ઉપયોગી છે. અને સૌથી ઉત્તમ એટલે શ્રીફળ ! હા, એનાં બહારના ભાગે જે રેસા હોય છે એને સુશોભનની વસ્તુઓ અને કંતાન બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
કડક આવરણને પણ સજાવટ માટે તેમજ એક વાસણ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
હવે કડક કોપરું અને મીઠું પાણી આ બંને ભાગ આયુર્વેદિક રીતે ખૂબ મહત્વના છે. એક વાક્યમાં કહીએ તો એ નવા કોષો સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે એ નવા કોષો વિકાસ પામતા ગર્ભના હોય, બાળવિકાસ માટે હોય, માંદા માણસના મરી ગયેલા કોષોનું નવસર્જન હોય કે વૃદ્ધને જરૂરી પોષક દ્રવ્યો પૂરાં પાડવાનાં હોય, શ્રીફળમાં આ તમામને પહોંચી વળવા માટેનાં રાસાયણિક ગુણ રહેલા છે.
હવે વિચારો કે તંદુરસ્તી જળવાય, તો કાર્યક્ષમતા વધે, એનાં કારણે કમાણી વધે અને તેથી સમૃદ્ધિ વધે !!!
આથી જ તો શ્રીફળનાં નામમાં જ ‘શ્રી’ એટલે લક્ષ્મી આપતું ફળ એવો અર્થ રહેલો છે.
ઘણા ધર્મોમાં શ્રીફળનો કોટો ફૂટ્યો હોય તો એને શુકન ગણવામાં આવે છે. જો એવાં શ્રીફળને તમારે આંગણે વાવો તો એનું વૃક્ષ વિકસે છે, ભલે ને એને મીઠું પાણી જ પાવામાં આવે અને દરિયાઈ હવા ન મળે તોય એ ઉગી નીકળે છે. આથી એને પ્રભુકૃપા સમજવામાં આવે છે!
ઘણી ઉક્તિઓ પણ પ્રચલિત છે. દા. ત.
રૂપિયો- નારિયેળ આપી દીધાં. – સગાઈ થઈ.
એમને શ્રીફળ-સાકર આપ્યાં – શુભેચ્છા પાઠવી.
એને તો પાણીચું પકડાવી દીધું.- કાઢી મૂક્યો કે સંબંધ તૂટે એવું સંભળાવી દીધું.
“એમનો સ્વભાવ તો નારિયેળ જેવો છે, ઉપરથી સખત, પણ અંદરથી મૃદુ.”
મારો શ્રીફળ વિશે લખવાનો આશય એ હતો કે અહીં ‘ટાસ્ક’માં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રાવણ અને ઓગસ્ટ મહિનાના આ સમયગાળામાં ઘણા ધર્મોના તહેવારો આવે છે. એટલે દરેક ધર્મની પ્રાર્થનાથી આપણે પવિત્ર હવા શ્વસીએ છીએ અને શ્રીફળ ‘અનેકતામાં એકતા’ દર્શાવવા માટે ઉત્તમ ઉદાહરણ છે.
__________________________________
૧૦) જિગીષા પાઠક
શીર્ષક : કળશ
શબ્દો : ૪૪૦
“કળશ” શબ્દ સાંભળતા જ મન શ્રદ્ધાના ભાવથી સભર બની જાય….નહિ? એનું ચિત્ર ક્યાંક નિમંત્રણ પત્રિકા, કંકોતરી કે ક્યાંક જાહેરાત અથવા સ્ટીકરમાં પણ જોઈને આપણા શાસ્ત્રોએ આપેલી આ અનુપમ ભેટ પર ગૌરવ થાય!! કળશના સ્થાપનને જોઈને જાણે દેવો સાક્ષાત હાજર હોય એવી અનુભૂતિ થાય!! ભરેલો કળશ એ હર્યાભર્યા જીવનનું પ્રતીક મનાય છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય કોઈ દેશમાં જોવા નથી મળી!! એનો શ્રેય આપણા વિદ્વાન અને જ્ઞાની ઋષિમુનિઓ તથા પૂર્વજોને જાય છે.
આમ તો કળશનું મહ્ત્વ સમુદ્રમંથન થયું એ સમયથીજ ચલણમાં છે. તે વખતે અમૃત કળશ જ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધનું નિમિત બન્યો હતો. સાધુ સંતો પણ પોતાની સાથે અભિમંત્રિત જળ કળશમાં રાખતા.તેનો તે સમયાંતરે સંકલ્પ લેવા માટે, વરદાન આપવા માટે કે શ્રાપ આપવા માટે ઉપયોગ કરતા…..
બે સદી પહેલાની વાત કરીએ તો તે વખતે જળની પ્રાથમિક જરૂરિયાત સમજાઈ, તેથી કદાચ મનુષ્યએ સૌ પ્રથમ માટીમાંથી ગાગર બનાવી હતી. માટી અને જળનો સુભગ સમન્વય ખુબ શુકનવંતો સાબિત થયો. પછી અલગ અલગ ધાતુઓમાંથી પણ ઘડા બનાવ્યા. જેને તે કળશ પણ કહેતા. ત્યારથી કળશ તેના માટે સૌથી ઉપયોગી તથા અવિભાજ્ય અંગ બનીને રહ્યું. આજે ભલે ઘેર ઘેર પાણીના નળ આવી ગયા છે, પણ આજેય કળશનું મહ્ત્વ અને ગરિમા જળવાઈ રહ્યા છે. આજે પણ માણસ કળશને આદરપૂર્વક અને પવિત્રતાના પ્રતીક સ્વરૂપે જુએ છે.
કોઈપણ શુભ પ્રસંગ હોય કે સામાન્ય પૂજા હોય, ગૃહપ્રવેશ હોય કે સ્વાગત હોય શ્રી ગણેશજીની પૂજા બાદ, સુંદર શણગારેલા કળશની સ્થાપના અવશ્ય કરવામાં આવે છે. ભૂદેવ તેમના મંત્રોચ્ચારથી જળ ભરેલો કળશ મૂકીને વરુણદેવનું આવાહન કરે છે, તેનાથી પવિત્ર સત્કર્મ કરનાર વ્યક્તિ તથા તેના કુટુંબીજનોને આરોગ્ય, સ્થિર અને શુભ લક્ષ્મી, પુન્ય, સંતતિ તથા કલ્યાણના આશીર્વાદ મેળવે છે, જે અતિ દુર્લભ હોય છે.
લગ્ન કરવા આવતાં વરરાજા જાન લઈને મંડપને દ્વારે આવી પહોંચે ત્યારે કન્યાપક્ષની કોઈક કુંવારી કન્યા સ્વાગત માટે વરબેડિયું લઈને પોંખવા જાય એવો રિવાજ હોય છે. એવીજ રીતે પ્રસંગોપાત કરવામાં આવતી પૂજનવિધિના પ્રધાન દેવતાનું સ્વાગત પણ પુન્યવાંચન કળશથી કરવામાં આવે છે.જળ ભરેલા કળશને વધુ સમૃદ્ધ તથા જીવંત, સુશોભિત બનાવવા માટે વૃક્ષના પાન તથા શ્રીફળનો પણ ઉપયોગ થાય છે.
સમગ્ર જીવનકાળ દરમ્યાન કળશને મહ્ત્વ તથા સન્માન આપતો મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ટિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવનજળ હવે ખૂટી ગયું છે, તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર કરતાં પહેલા જળ ભરેલાં માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે. માટીનો માટી સાથે કેવો અદભૂત સંબંધ!!
આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહના શિખર પર કળશ શાનથી એવી રીતે બિરાજે છે જાણે પ્રભુના મુગટમાં અમૂલ્ય રત્નને સ્થાન મળ્યું હોય…….!!
__________________________________
૧૧) પ્રફુલ્લા શાહ
શીર્ષક -સ્વસ્તિક
શબ્દો -૨૧૧
શુકનવંતા સાથિયા, મંગળ કરે સદાય,
લાભ શુભ આંકયા કરે,રંગોળી એની સર્જાય,
આંગણે હોય કંકુના સાથિયા, ચોખાના મંદિરમાં,
ગૃહ પ્રવેશે મગનો સાથિયો, ઘઉંનો હોમ હવને. — પ્રફુલ્લા”પ્રસન્ના”
આપણા ઋષિ મુનિઓએ આધ્યાત્મિક અનુભવથી વિશેષ મંગળ ચિન્હોની રચના કરી.એમાંનું એક ચિન્હ એટલે સ્વસ્તિક.જેને આપણે સાથિયો પણ કહીએ છીએ.
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સ્વસ્તિકથી થાય છે.એને સકારાત્મક ઊર્જા સ્તોત્ર મનાય છે.મંદિરો, પૂજાઘર,હિસાબના ચોપડામાં, કોઈ પણ ધાર્મિક વિધિમાં અને ઘરના ઉંબરે સ્વસ્તિક બનાવવામાં આવે છે.સ્વસ્તિક બનાવવાથી કંઈ પણ ખોટું કામ કરતાં આપણું મન ખચકાય છે અને મનમાં શુદ્ધ ભાવ પ્રગટે છે.
પરમાત્માના મંગળ ઋતુચક્રનું અહીં દર્શન થાય છે. જમણુ સ્વસ્તિક નરનું પ્રતિક છે જ્યારે ડાબું સ્વસ્તિક નારીનું પ્રતિક છે.સ્વસ્તિકની ઊભી રેખા સૃષ્ટિની ઉત્પત્તિનું પ્રતિક છે, આડી રેખા સૃષ્ટિના વિસ્તારનું પ્રતિક છે.મધ્યબિંદુ વિષ્ણુનું નાભિકમળ મનાય છે.એમાં વપરાતા ચાર બિન્દુઓ ચાર દિશાઓનું
પ્રતિક મનાય છે.એના ચાર ખૂણા ચાર પ્રકારની ઊર્જા ઉતપન્ન કરે છે.( ૧ ) જીવન ઊર્જા ( ૨ ) સર્જનાત્મક ઊર્જા ( ૩ ) કલ્યાણ ઊર્જા ( ૪ ) આધ્યાત્મિક ઊર્જા.
મંગળ ચિન્હોમાં સર્વાધિક વપરાતું આ પ્રતિક મનમાં ઉત્સવ પ્રગટાવે છે.સ્વસ્તિક મંગલકારી, સકારાત્મક ઊર્જા પ્રગટાવનાર અને સફળતા આપનાર આપનાર શુભ ચિન્હ મનાય છે.
ઘરનાં ઉંબરે રચાતો સ્વસ્તિક આખા વિશ્વને આવરી લે છે.ઈશ્વરના સાનિધ્યનું ચિન્હ છે સ્વાસ્તિક.સ્વસ્તિક કરવાથી આપણું મન ભયમુક્ત બને છે અને ઈશ્વર આપણી સમીપ છે એવું મહેસુસ થાય છે.
સ્વસ્તિક વ્યાપકતાનું અને સાથે સાથે જોડાણનું પણ પ્રતિક છે.નાનકડા એવા આ પ્રતિકમાં બહુ મોટા કલ્યાણ અને મંગળની ભાવના છુપાયેલી છે.સ્વસ્તિકના નાભિબિંદુમાં દિશાઓની અંતિમ સાર્થકતા સિદ્ધ થાય છે.
__________________________________
૧૨) કિરણ પિયુષ શાહ
શીર્ષક :- કળશ એક પ્રતિક
શબ્દ સંખ્યા:- ૪૦૦
હિન્દુ સંસ્કૃતિમાં કળશ, શ્રીફળ, દીપક, સ્વસ્તિક અને ત્રિશુળ જેવી અનેક વસ્તુઓ આદિ અનાદિ કાળથી વપરાય છે. આ દરેકનું પ્રતિકાત્મક મૂલ્ય અને એક આગવું સ્થાન છે.
આજ કળશ વિશે થોડી વાત કરીએ. કળશ મૂળ સંસ્કૃતમાથી આવેલ છે ક્લેશમાંથી કળશ. આ કળશ અનેક વિધ સ્વરૂપ અને ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. સુવર્ણ, રજત, કાંસ્ય, તાંબુ અથવા પીતળના હોય છે. અત્યારે સ્ટીલના પણ બનાવાય છે.
માટીમાંથી બનતા ઘડાને કુંભ કહેવાય.
પૂજામાં વપરાતા કળશનું એક ચોક્કસ માપ હોય. પૂજા માટે કળશમાં પાણી ભરવામાં આવે. ક્યારેક ધન-ધાન્ય પણ ભરાય.
કળશ સ્થાપના એ લગભગ બધી જ પૂજામાં મૂખ્ય ગણાય. સ્થાપના માટે લાલ કે સફેદ કપડાં પર ઘઉં કે અક્ષત પર કરવામાં આવે. પ્રથમ વિધ્નહર્તા ગણપતિનું સ્થાપન કરી કળશનું સ્થાપન કરાય.
ગૃહપ્રવેશ વખતે માટીનાં કુંભનું સ્થાપન કરવામાં આવે ત્યારે પહેલાં મગ કે ઘઉંની ઢગલી કરી કુંભ મૂકાય. એ કુંભમાં પાંચ કે સાત આંબા કે આસોપાલવના પાન ઉપર શ્રીફળ મૂકી તેનું સ્થાપન કરાય. આ ધાર્મિક વિધિ સાથે એક માન્યતા એ જોડાયેલી છે. કુંભના પાણીનાં ભેજથી એ ધાન્ય અંકુરિત થાય એમ તમારો પણ આ ઘરમાં વિકાસ થાય. સમૃદ્ધિ પામો. આમ ધર્મ સાથે વિજ્ઞાન જોડાય ગયું.
નવરાત્રિના પાવન પર્વમાં ગરબા રૂપે કુંભનું સ્થાપન કરાય. ગરબો સજળ નથી પણ સતેજ એટલે કે તેમાં રહેલાં છિદ્રોમાંથી રોશની ફેલાવી અસત પર સતના વિજયની વાત સમજાવી જાય.
સ્ત્રીનાં ગર્ભાશયને પણ કુંભના આકારમાં કલ્પી ગર્ભકુંભ નામ આપી જન્મસંસ્કાર અને ગર્ભસ્થાપનની વાત કરી. મા- જનનીને દેવી સ્વરૂપે પૂજનીય કહીં.
મંદિર હોય ત્યાં ઉપર કળશ અને ધજા રહેવાનાં. કળશ સમૃદ્ધિનાં પ્રતિક તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. મંદિર પર કળશ ચઢાવવાનો અર્થ કાર્યની સફળતા અને પૂર્ણતાનું પ્રતિક છે.
કળશ આધ્યાત્મિકતાનું પ્રતિક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શિવ, અને મુળમાં બ્રહ્મા. મધ્યમાં માતૃકાગણ એની દશેય દિશાના ભાગમાં દિક્પાલ, અંદર સાત સાગર, ગ્રહ નક્ષત્રો, કુલ પર્વત, ગંગા આદિ સહિત ચાર વેદ રહેલા છે. એવું માનવામાં આવે છે.
સમુદ્રમંથન સયયે દેવ દાનવને અમૃત કુંભ મળેલ. માટે તેને અમૃત કળશ પણ કહેવાય.
જૈન ધર્મમાં સ્નાત્ર કે પૂજાને અંતે શાંતિકળશ કરવામાં આવે. એ પાછળ પણ પૂજા કરનારની અને સંધની સુખાકારીની ભાવના રહેલ છે..
જન્મથી શરૂ થતો કળશનો સાથ એક યા બીજી રીતે ચાલુ રહે. લગ્ન સમયે રંગીન માટલી કે ધડા પધરાવી વિધિ કરાય છે તો કન્યાને વિદાય સમયે મામટ- માટલું ભરી મિઠાઇ સાથે સાત ધાન્યની પોટલીને મૂકીને અપાયહ આની પાછળ પહેલાંના સમયમાં ગાડામાં જાન આવતી તો રસ્તામાં આ વસ્તુઓ કામ લાગે એવી ભાવના રહેતી.
જન્મથી શરૂ થતો કળશ – કુંભનો સાથ મરણ સમયે દોણીની આગ સુધી રહે છે.
જગન્નિયંતાએ માટીને સંસારના ચાકડે ચડાવી પૃથ્વીરૂપી કળશનું સર્જન કર્યુ. એના પ્રતિક તરીકે દરેક માંગલિક કે અમાંગલિક કાર્ય કળશ વગર સંપન્ન નથી થતાં.
__________________________________
૧૩) નીના દેસાઈ
શિર્ષક : દીપક
શબ્દો:૩૨૦
પંચમહાભુતના પાંચ તત્વો
પૃથવી, પાણી, પવન, આકાશ ને પ્રકાશ.
દીપક એ પ્રકાશનો જ અંશ કે પર્યાય કહી શકાય.
કુદરતી પ્રકાશ સૂર્ય, ચંદ્ર, તારાઓ દ્વારા મળે, જ્યારે માનવ સર્જિત પ્રકાશ વિજળીના ઉપકરણો અને અગ્નિ પેટાવવાથી મળે. દીવો અગ્નિનું નાનું સ્વરૂપ!
આજે આપણે દીપકની વાત કરીએ, તો હિંદુ સંસ્કૃતિમાં
દીપક, સ્વસ્તિક, કળશ, શ્રીફળ, કંકુ, અક્ષત, સુખડ, પૂષ્પ અને ધૂપદીપ સોપારી જેવી સામગ્રીનો ઉપયોગ દરેક પૂજામાં ઉપયોગ થાય.
શુભમ્ કરોતુ કલ્યાણમ્
આરોગ્યમ્ ધનસંપદા
શત્રુબુદ્ધી વિનાશાય
દીપર્જયોતિ નમો સ્તુતે!
દીપક કલ્યાણ કરનાર, આરોગ્ય અને ધનસંપત્તી વધારનાર, શત્રુની બુદ્ધીનો નાશ કરનાર દીપકને નમસ્કાર.
દીપક એ સૂર્યનું પ્રતિક, અજવાસનો પર્યાય, બ્રહ્માંડનું, પૃથ્વીનું જીવન અને સૂર્યની ગેરહાજરીની ખોટ પુરનાર જ્યોત જે સકારાત્તમકતાનું પ્રતિક!
સૂરજ રિસાય ત્યારે દીવાનું અજવાળું ધરાને ઉજાળે!
કાનભૈરવ એ શીવજીનું રૂદ્ર સ્વરૂપ, એમના દીવામાં ને કાળીચૌદશના દિવસે દીવામાં તેલ પૂરાય, અને લક્ષ્મીજીના દીવામાં
ધનતેરશે ઘીનો દીવો થાય. દરેક પૂજામાં દીવો સૌથી પહેલા પેટાવાય કારણ દીવાને એ પૂજાનો સાક્ષી મનાય છે.
દીપકને આત્મા સાથે પણ સરખાવાય, જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે આપણે જીવનદીપ બુઝાઈ ગયો એવું કહીએ છીએ.
દીપક એટલે તેજ, તેજ એ પંચમહાભુતમાંનું જ એક તત્વ જે આત્મા ને પરમાત્માનું તેજ એ જ તેજ બ્રહ્માંડનું અવિભાજ્ય અંગ કહેવાય.
દીપક એ સકારાત્તમકતાનું અને જ્ઞાનનું પ્રતિક જે નકારાત્મકતાનો,
અજ્ઞાનનો નાશ કરે છે. સૃષ્ટિના દરેક જીવો પણ પંચમહાભુતથી જ બનેલા છે, અને પ્રકાશના આભારી છે.
અંધારી રાતને સૂરજ અજવાળે, અંધારું અજ્ઞાનનું, અંધશ્રદ્ધાનું, રાગદ્વેષનું, અહમનું, આળસનું, દુર્બુદ્ધીનું, આ બધી નકારાત્મકતાને દુર કરી ઉજાસસભર અજવાળું ફેલાવે એ સૂરજ…. તે દીપક!
હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ દરેક ધર્મમાં દીપકનું સ્થાન મહત્વનું છે.
પારસી ધર્મમાં પણ અગ્નિને પૂજામાં આવે છે. ખ્રિસ્તીઓ પણ ચર્ચમાં મિણબત્તી પેટાવે છે.
દીપક પેટાવવાથી મંદીર, ઘર, જે તે સ્થળનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થૈ જાય છે,અને પોઝીટીવ એનર્જી ઉત્પન થાય છે જે દાનવી, પિશાચી શક્તિ અને નકારાત્મકતાને દુર કરે છે.
ભારતમાં દરેક વારતહેવારે, શુભ પ્રસંગે જેમકે દિવાળી, નવરાત્રી, લગ્ન, વાસ્તુ જૈવા પ્રસંગે દીપકનું મહાત્મ્ય છે.
પ્રાચિનકાળમાં ઋષિમુનીઓ સમાજ કલ્યાણ, માનવોનું દાનવોથી રક્ષણ, આધ્યાતમિક સાધના, ને મોક્ષ પ્રાપ્તિ માટે હવન કરતાં.
જીવનકોડીયામાં આયુષ્યનું તેલ ખૂટે ને માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એના માથા પાસે દીવો પ્રગટાવીએ છીએ, કારણ
આપણાં હિંદુધર્મમાં એવી માન્યતા છે કે આત્માની ઉર્ધ્વગતિ થાય ત્યારે એની કેડીને અજવાળવા દીવો મુકીએ છીએ.
આમ માનવ જીવનની શરૂઆતથી અંત સુધી દીપક આવશ્યક અંગ બની રહે છે.
દીપજયોતિ પર બ્રહ્મ
દીપજયોતિ જનાર્દન
દીપો હરત મે પાપમ્
દીપર્જયોતિ નમોસ્તુતે!
__________________________________
૧૪) લીના વછરાજાની
શીર્ષક: હું પ્રગટું છું પણ દીપ નથી
શબ્દ સંખ્યા- ૨૦૭
તારીખ: ૨૫/૮/૨૦૨૦
“હું પ્રગટું છું પણ દીપ નથી,
હું ઝબકું છું પણ જ્યોત નથી,
હું એવું અલૌકિક કાં’ક છું,
માતા જગદંબા અંબાની આંખ છું.”
જેની સરખામણી પરમેશ્વરી રાજરાજેશ્વરી મા અંબા સાથે થાય એની પવિત્રતા અને મહત્તા સામાન્ય મનુષ્ય બે-ચાર શબ્દોમાં
શું વર્ણવી શકે!
દીપ-દીવો આ શબ્દ જ પોતે અત્યંત તેજોમય છે. દીવાની જ્યોતના તેજસ્વી પ્રકાશમાં આખા બ્રહ્માંડની કલુષિતતા વિનાશ પામે છે.
વિજ્ઞાને ભૌતિક રીતે કૃત્રિમ પ્રકાશની શોધ કરી એ માનવજરુરિયાતને ધ્યાનમાં રાખીને જ તો કરી હોય.
પ્રકાશ પછી એ કુદરતી હોય કે કૃત્રિમ હોય- દરેક પ્રકારના અંધકારને ઉજાસ તરફ લઈ જાય છે. ચાહે એ બહારી અંધકાર હોય ચાહે ભીતરનો અંધકાર હોય.
એક સામાન્ય ઉદાહરણ લઈએ તો અંધારા રુમમાં પગ મુકતાં જ લાઈટની સ્વિચ તરફ આપોઆપ હાથ લંબાય અને એ ચાલુ કરતાં રુમ ઝળાંહળાં થઈ જાય.
તો જ્યાં કરોડો સૂર્યના તેજનું પ્રતિનિધિત્વ કરતું દીપપ્રાગટ્ય થાય એ સ્થળ અને એ સમય અવર્ણનિય અલૌકિક જ બની જાય.
શાસ્ત્રમાં દરેક પ્રસંગે દીવાનું અનેરું મહત્વ દર્શાવાયું છે. મનુષ્યના જન્મથી માંડી મૃત્યુ સુધી દીવાની હાજરી અનિવાર્ય.
દરેક શુભ-અશુભ પ્રસંગ દીપજ્યોતિને સાક્ષી માનીને પાર પાડવામાં આવે છે.
એક જ શ્લોક સાથે સમાપન.
“દીપજ્યોતિ: પરબ્રહ્મ
દીપજ્યોતિ જનાર્દન:
દીપો હરતુ મે પાપમ
સંધ્યાદીપ નમોસ્તુતે.”
હે દીપજ્યોતિમાં નિરાકાર રહેલા ઈશ્વર,
અજ્ઞાનરુપી અંધકારમાંથી પાપાચારમાંથી અને નિરર્થક પીડામાંથી મુક્તિ મેળવવા
હું પામર મનુષ્ય બે હાથ જોડીને નતમસ્તક વંદન કરું છું.
__________________________________
૧૫) હિમાલી મજમુદાર ‘વૃષાલી’
શીર્ષક- પરમ્ તેજ
શબ્દ સંખ્યા-૩૦૩
ધરતીનાં આંગણે સંસ્કૃતિનું પ્રથમ પરોઢ ઉગ્યું એ વખતથી દીવડો ભારતીય સંસ્કૃતિનું પ્રતિક બન્યો છે.વૈદિકયુગથી પ્રાર્થનામાં કહેવાયું છે કે ‘તમસો મા જ્યોતિર્ગમય.’ પ્રાચીનકાળથી આપણાં દેવમંદિરોને દીવડાથી જ શોભાવવામાં આવ્યાં છે. અંધકાર થી ઉજાસ તરફની ગતિ એ પ્રાગટ્ય. પ્રગટવુ એટલે સ્વયમ્ ને પ્રકાશિત કરવુ. આપણાં વિજ્ઞાનને આધ્યામિક નિયમો સાથે જોડવાથી તેનું ચુસ્ત પણે પાલન થાય છે.કોડિયું એ આપણી ત્વચા છે.વાટ એ આપણો આત્મા છે. તેમાં કર્મ રૂપી તેલ પુરી વાટ દ્વારા સિંચીને પ્રજ્વલિત થતો દીવો એ આપણા જીવનને અજવાળે છે.
ધાર્મિક સંદર્ભમાં તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપપ્રાગટય થી થાય છે.નવરાત્રીમાં અખંડ દીવાની સ્થાપના કરી સાક્ષાત માતાજીના સ્વરૂપની પૂજા-અર્ચના થી માના પ્રાગટ્યને વધાવવામાં આવે છે.આ શ્રધ્ધા અને આસ્થાના દીવા સ્વરૂપે ધન્યતાનો અનુભવ થયા વગર રહી શકતો નથી. જ્યારે દીવા સ્વરૂપે માતાજી વિદાય થાય છે, ત્યારે એ ખાલીપો માત્ર અનુભવી શકાય.એનું વર્ણન શબ્દો થી નથી થઇ શકતું. ‘દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય….’એમ કહી અમાસના અંધકારને દૂર કરી ઝગમગ થતાં દીવા નૂતન વર્ષના અજવાળવા પાથરે છે.હોળીનુ પ્રાગટ્ય વાતાવરણને શુદ્ધ બનાવે છે.રોગ અને અનિષ્ટ તત્ત્વોનો નાશ થાય છે. સાક્ષાત નારાયણનું પ્રાગટ્ય છે.આમ આપણા દરેક વાર-તહેવારમાં દીવાનું એક આગવું સ્થાન છે.
બાળકના જન્મને કૂળદિપક કહી વધાવીએ છીએ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જીવનદીપ ઓલવાયો એ શબ્દ પ્રયોગ કરીએ છીએ.માંગલિક પ્રસંગોમાં દીવો શુભ માનવામાં આવે છે.બધી સ્ત્રીઓમાં વરની માને અલગ તારવવા માટે તેના હાથમાં ‘રામણદીવો’ આપવામાં આવે છે. રામણ એટલે આપત્તિ.આ આપત્તિને બાળી નાખી, સુખરૂપ પ્રકાશ આપનાર દીવો તે આપણો ‘રામણદીવો’એ દીવાના સથવારે જીવનપથને અજવાળાની શુભકામના રહેલી છે.
બાળકના જન્મ બાદ તેની છઠ્ઠીની મેષ દીવાની જ્યોતમાં ચમચી પાછળ દિવેલ ધરી લેવામાં આવે છે.વૈજ્ઞાનિક રીતે શુધ્ધ અને આંખોને ઠંડક આપતી હોવાથી કેટલાક લોકો હંમેશા આજ રીતે મેષ બનાવી આંજે છે.આમ દરેકના જીવનમાં વણાયેલું દીવાનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રમાણ એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે.જે આખા વિશ્વની ઓળખ છે.
__________________________________
૧૬) ઈલા મિસ્ત્રી ‘કલમ’
શબ્દો: 340
શીર
દીપક કે દીવાનું સ્મરણ થતાં જ શ્રણીકવાર માટે માનસપટ પર અજવાસ છવાઈ જાય છે.
આપણી ભારતીય પરંપરામાં ધાર્મિક દ્રષ્ટિએ દીવાનું સ્થાન અધિક આંકવામાં આવ્યું છે.
ધાર્મિક ઉત્સવ હોય કે માંગલિક પર હોય અરે..! જિંદગીનાં છેલ્લા શ્વાસ વખતે પણ દીવાનું ખૂબ મહત્વ છે.વાસ્તુશાસ્ત્રના મત મુજબ દીવો એટલે પોઝિટીવ ઉર્જાનો સ્તોત છે.
દીવાનું મુખ્ય ઉપયોગ અંધકારને દૂર કરવાનો છે.પહેલાના જમાનામાં જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ત્યારે તેલ કે ઘીના દીવા કરી પ્રકાશ મેળવવા કામમાં લેવાતો હતો, ઉત્તરોતર પ્રગતિ થતાં ઘાસલેટના (કેરોસીન) દીવા તથા ફાનસ આવ્યા અને વીજળીની શોધ પછી દીવાઓ ફક્ત દેવમંદિર અને ઘરનાં મંદિરમાં
જોવા મળે છે.
ઘણી સ્ત્રીઓ સવારે ઉંબરે પૂજા કરીને દીવો મૂકે છે.
ઘણી બહેનો તુલશી ક્યારે તો ઘણાં પિતૃદેવની કૃપા મળી રહે એ હેતુથી પાણીઆરે દીવો પ્રગટાવે છે.
ખરેખર તો દીવાના સ્વરૂપને સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ સમજીને પ્રણામ કરે છે.આ પરથી ગોપી મંડળની બહેનો સરસ ભજન પણ ગાય છે…જેમાં ઉંબરો, પાણીઆરુ, મંદિર અને તુલસીક્યારાનું વર્ણન કરી,દીવાનું મહત્વ સમજાવ્યું છે.
દીવો કઈ દિશામાં કરવો એ પણ ખૂબ જરૂરી બાબત છે. દીવાને પૂર્વ અથવા ઉત્તર દિશામાં શુભ અને દક્ષી ,પશ્ચિમ બાજુ મુકવો અશુભ મનાય છે.આમ છતાં જગ્યાની મોકળાશ મુજબ રાખવામાં આવતો હોય છે.
લગભગતો ઘરમાં દેવ મંદિર પૂર્વાભિમુખ અથવા પૂર્વ ઈશાન ખુણામાં રાખવામાં આવે છે.એટલે દીપ સ્થાન યોગ્ય દિશામાં રહે છે.આમ છતાં આ બાબત અવગણી ના શકાય.
પુરાણોમાં ઘીનો દીવો ઉત્તમ ગણ્યો છે.
તેલનો દીવો ઉત્તર દિશાના દ્વાર પર કરવાથી સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં સરસવના તેલનો દીવો , ગાયનાં ઘીનો દીવો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ બધી શાસ્ત્રોક્ત વિધિ વિધાનની વાત થઈ, પરંતુ દીવો કરવાનું ફરમાન કદાચ વૈજ્ઞાનિક આધારે થયું હોવું જોઈએ એમ મારુ માનવું છે.
દીવો કરવાથી ઘરમાં જીવજંતનો ઉપદ્રવ ઘટે છે.જ્યાં ગાયનાં શુદ્ધ ઘીનો અખંડ દીવો હશે એ ઘરમાં સુખ-શાંતિની સાથે આરોગ્ય પણ સારી સુખાકારી સાથે હશે…જ પહેલાંના સમયમાં નવજાત શિશુને ગાયનાં ઘીના દીવાની મેશ અજવામાં આવતી એનાથી આંખોનું તેજ વધે છે, એવું પહેલાનું ડોશીપુરાણ કહે છે.
દીવાનું મહત્વ એનો ઉપયોગ સારું સ્વાસ્થ્યવર્ધક હોય છે એથી આજ પર્યન્ત આરોગ્યની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ હકારાત્મક ઉર્જા લાવી નકારાત્મકતા દૂર કરે છે.એટલે અદકેરું છે.
__________________________________
૧૭) પૂજા(અલકા)કાનાણી
શીર્ષક- ત્રિશૂળ આધ્યાત્મિકતાનું પ્રતિક
શબ્દ સંખ્યા-૨૯૭
કળશ,દિપક,સ્વસ્તિક,શ્રીફળ અનેત્રિશૂળ એ આપણી સંસ્કૃતિનાં આધ્યાત્મિક પ્રતિક છે અને આ પ્રતિકોને મૂલ્યવાન ગણવામાં આવે છે. બધાનું મૂલ્ય અલગ-અલગ આંકવામાં આવે છે.
આજે હું એક એવા પ્રતિક ત્રિશૂળની વાત કરવા જઈ રહી છું જેનાથી કોઈ વ્યક્તિ અજાણ નથી.આપણી સંસ્કૃતિમાં ઘણા દેવી-દેવતાનાં હાથમાં ત્રિશૂળ હોય છે પણ આપણે ક્યારેય એ ત્રિશૂળના મહત્વને સમજવાની કોશિશ કરી છે? નહીં ને? તો ચાલો આજે આપણે ત્રિશૂળ વિશે થોડું જાણીએ.
ત્રિશૂળ એ આમ તો સંહારનું પ્રતિક છે પરંતુ, તેમાં ઘણાં રહસ્ય છુપાયેલા છે. સંસારમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. સત,રજ,તમ,સત એટલે કે સત્યગુણ,રજ એટલે સાંસારિક અને તમે એટલે તામસી અર્થાત નિશાચારી પ્રવૃત્તિ. આ ત્રણેય પ્રવૃત્તિનો સંહાર થઈ જાય તો વ્યક્તિ ‘સ્થિતપ્રજ્ઞાની’સ્થિતિ પામે છે જે ઈશ્વરની સમીપ લઈ જાય છે.
ત્રિશૂળ માં ત્રણ શૂળ આવે છે. માનવ જીવનમાં આવતાં આધી,વ્યાધિ,ઉપાધિ કે જેને ત્રિશૂળ દ્વારા નિયંત્રિત રાખી શકાય છે. એમ માનવામાં આવે છે.
ભગવાન શિવજી હંમેશા ત્રિશૂળ ધારણ કરેલા જોવા મળે છે. તેમના હાથમાં ત્રિશૂળ હોવાનો અર્થ એ છે કે એ ત્રણે ગુણોથી પર છે. ઘણા લોકો માને છે કે મહાદેવનું ત્રિશૂળ વિનાશનું પ્રતિક છે. પણ ના એ તો કષ્ટ નિવારણનું પ્રતિક છે. એ સત્યનો રસ્તો બતાવે છે. મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
ઘણા લોકો એમ પણ માને છે કે ત્રિશૂળ એટલે ત્રણ કાળ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ઘણા લોકો ત્રિશૂળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કલ્પના કરે છે.
આમ ત્રિશૂળ નકારાત્મક તાકાતને દૂર રાખે છે. ઘમંડને પણ દૂર કરે છે. સત્યની અનુભૂતિ કરાવે છે. ભગવાન દ્વારા હાથમાં ઉઠાવેલું ત્રિશૂળ આખા વિશ્વની ગતિવિધિઓ પર અસર પાડી શકે છે.
આમ આપણી સંસ્કૃતિના આ પ્રતિક એક મૌનની ભાષા છે અને ગાગરમાં સાગર જોવાની સમર્થતા આ પ્રતિકમાં છુપાયેલી છે.
__________________________________
૧૮) માલાની શાહ કોબાવાલા
શીર્ષક- કળશ
શબ્દ સંખ્યા-૨૬૦
સંસ્કૃત માં
कल् वि. પ્રમાણે મધુર કે મિષ્ટ અર્થ થાય. ને
अश् आ. धातु शब्द અનુસાર તેનો અર્થ થાય છે વ્યાપવું, મેળવવું, પહોંચવું, અનુભવવું, ભોગવવું,કે એકઠું થવું.
આમ, कल्+अश् =कलश
ગુજરાતી માં મને બધાં ‘કળશ’ કહે છે. મુખ થી હું નાનો ને ગર્ભમાં એટલે કે અંદરથી હું મોટો.
કૂવા, સરોવર, ઝરણા, નદી કે દરિયામાં રહેલ વિશાળ સ્ત્રોતને પણ હું મારા ગાગર સરીખા પેટ માં સમાવી લઉં છું. ને મારામાં રહેલ ગુણોથી તેણે યુક્ત કરી દઉં છું, પછી ભલે હું સોનાથી, ચાંદીથી, તાંબાથી, કે માટીથી જ કેમ ન બનેલો હોઉં.
કોઈપણ ધાતુનો કે માટીનો બનેલ હું તો મારામાં રહેલ દ્રવ્યને ગુણયુક્ત જ બનાવું અને રાખું છું. તેથીજ મારામાં રહેલ પાણી પીને દરેક જીવ સંતુષ્ટિનો જ અનુભવ મેળવે છે.
કોઈ પણ સારા પ્રસંગે કુંભ સ્થાપન કરવાનો રિવાજ છે આ સંસારમાં. હિન્દુ શાસ્ત્ર અનુસાર ધાર્મિક વિધિ કે પૂજા-પાઠ માટે પ્રથમ કળશ સ્થાપનાનું ખૂબ મહત્વ છે. ત્રેતાયુગમાં સમુદ્રમંથન વખતે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો ત્યારથી કળશને તમામ તીર્થસ્થાન નું પ્રતીક માનવામાં આવે છે. તેમજ તેમાં તમામ દેવી-દેવતાઓની માતૃ શક્તિ રહેલી છે તેથી શુભ માની કોઈપણ પૂજામાં તેની સ્થાપના કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેમ સંસારમાં રહેલ જળ સ્ત્રોતમાં નું અમૃત મારા દ્વારા સમુદ્રમંથનમાંથી દેવોએ પ્રાપ્ત કર્યું તેવી જ રીતે તે દ્વારા ત્રિદેવ અને શક્તિ સાક્ષાત બિરાજમાન છે તેમ માની મારી સ્થાપના કરવામાં આવે છે. ને ખરેખર તેથી હું પણ મારી જાતને ધન્ય માનું છું.
માટે જ ગૃહ પ્રવેશ કરતાંજ પ્રથમ મારા માટી સ્વરૂપ કળશની સ્થાપના લોકો અચૂક કરે છે.
મારે તો એટલું જ કહેવું છે કે ઠાર્યા એવા ઠરશો,
ગુણગ્રાહક બનશો, અને
મધુર વાણી બોલશો તો
સદા શુભ લાભ પામશો.
_________________________________
૧૯) સરલા સુતરિયા
શીર્ષક – કળશ
શબ્દો- ૫૭૩
કળશ, એમાં ભરેલું જળ, ઉપર શ્રીફળ, ફરતા પાન અને સ્વસ્તિકથી ઓપતા બાજોઠ પર એનું સ્થાપન… હિન્દુ સંસ્કૃતિ સિવાય આવી શ્રદ્ધા ક્યાંય જોવા નથી મળતી. કળશનું સ્થાપન જ ઈશ્વરની હાજરીની અનુભૂતિ કરાવે છે. લગ્ન પ્રસંગની કંકોતરીમાં એકાદ ખૂણે કળશની હાજરી ગરિમાપૂર્ણ લાગે છે.
આપણી સિંધુ સંસ્કૃતિમાં જળનું અનેરૂં મહત્વ છે. ગાગરમાં સાગર એ આપણી કહેવતમાં કેટલો ગહન અર્થ સમાયેલો છે! કળશમાંથી હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા લેવી, કળશમાંથી જ જળ લઈ કોઈને શ્રાપ આપવો, એ તમામ ક્રિયામાં કળશનું સ્થાન છે. જુના વખતમાં હાથમાં દોરી અને લોટો લઈને લોકો કમાવા નીકળી પડતા ત્યારે આ લોટો જ એમનું શસ્ત્ર, એમનું ભોજનપાત્ર અને સર્વસ્વ બની રહેતો.
કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતિક છે. કળશના મૂળાધાર તરીકે પૃથ્વીતત્વ, મધ્યમાં જળતત્વ, કંઠે અગ્નિતત્વ, ઉપરની સપાટી વાયુતત્વ અને મુખનો ખુલ્લો ભાગ એ આકાશતત્વ છે. આમ કળશનું સ્વરૂપ એ પંચતત્વનું દ્યોતક છે. એ ઉપરાંત એમ મનાય છે કે, કળશના મુખમાં વિષ્ણુ, કંઠે શિવ, મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં માતૃશક્તિનો વાસ છે. કળશના મુખ ઉપર શોભતું શ્રીફળ આકાશ તત્વ અને ફરતાં ગોઠવેલા પાંદડાં પ્રકૃતિને દર્શાવે છે. આમ કળશ એટલે સમગ્ર બ્રહ્માંડનો સાર. સમૂદ્રમંથન વખતે અન્ય ચીજોની સાથે અમૃત ભરેલો કળશ લઈ સાક્ષાત ભગવાન ધન્વંતરી પ્રગટ્યા હતા અને ત્રેતાયુગમાં સીતાજીનો જન્મ પણ જમીનમાં દટાયેલા કળશમાંથી જ થયો હતો. માતા લક્ષ્મીજીના વરદ હસ્તમાં પણ ધનથી ભરેલો કળશ શોભાયમાન છે.
ભારતીય સંસ્કારોમાં પ્રાચીન સમયથી જ કળશનું સ્થાન મોખરાનું છે. કળશ માટી, ત્રાંબા, પિતળ, સ્ટીલ જર્મન સિલ્વરથી માંડીને પંચધાતુ અને સોના રુપાના પણ હોય છે. વિવિધ આકાર પ્રકારના કળશ પ્રત્યેક ઘરમાં હોય જ. કેમ કે, લગભગ તમામ ધાર્મિક વિધીઓમાં કળશનું સ્થાપન અને એની વિધીવત્ત પૂજા થાય જ છે. નીચે સ્વસ્તિક ચીતરીને એની ઉપર અનાજ અને ફળફૂલ વડે શણગારેલા બાજોઠ પર કળશનું સ્થાપન થાય. એમાં પાંચ નદીઓનું પવિત્ર જળ પધરાવવામાં આવે. પાંચ સોપારી અબિલ, ગુલાલ, કંકુ, દર્ભ અને અક્ષતથી પવિત્ર જળની પૂજા કરાય છે, નાગરવેલ કે આંબાના પાન વડે કળશની મુખશોભા એ આકાશતત્વનું પ્રકૃતિ સાથેનું મિલન માનવામાં આવે છે. કળશના કંઠે નાડાછડીનું બંધન એ અહંકારનું છેદન છે.
ખાસ કરીને નવરાત્રીમાં કળશ એટલે કે ગરબાનું સ્થાપન થાય છે. કળશનું સ્થાપન એટલે સાક્ષાત માતાનું આહ્વાન, એને સાક્ષાત માતાનું સ્વરૂપ માનીને એની ફરતે રોજ ગરબા ગવાય છે. બહેનો માથા પર ગરબો મૂકી માતાની આરાધના કરવા ગરબા લે છે
કળશ એ વરૂણપૂજાનું પણ પ્રતિક છે. પવિત્ર વૃક્ષોને પાણી પાવાનું હોય તો કળશ વડે જ પીવડાવાય છે. શિવલીંગ પર અભિષેક, વડપૂજન, હોલિકા પૂજન તથા સૂર્યભગવાનને અર્ધ્ય આપવા ચડાવાતું જળ એમ દરેક પૂજન કળશ વડે જ સંપન્ન થાય છે. સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ પીપળાને જળ ચડાવવા પણ ત્રાંબાના કળશનો જ ઉપયોગ થાય છે.
મંદિરના શીખર પર કળશનું સ્થાપન એ હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એને મંદિરની કીર્તિનું પ્રતિક માનવામાં આવે છે. પ્રત્યેક મંદિરના શીખર પર કળશ બિરાજમાન હોય છે. મંદિરમાં પ્રદક્ષિણા ફર્યા પછી શીખર પર સ્થાપિત કળશના દર્શન ન કરો તો પૂજા અધૂરી રહે છે.
કુંવારી કન્યા માથાં પર કળશ મૂકીને વરરાજાનું સ્વાગત કરે છે. લગ્નની ઘણી વિધિઓમાં કળશને અગ્રગણ્ય સ્થાન અપાયું છે.
લગ્નની ચોરીમાં મંડપને ચારે ખૂણે પણ કળશની સ્થાપના થાય છે અને કળશ તથા અગ્નિની સાક્ષીએ વર વધુ ફેરા ફરી જિંદગીની શુભ શરૂઆત કરે છે.
આમ કળશ માનવજીવનમાં શુભ મંગળ પ્રસંગો સાથે જડાયેલો છે. એને સુખ સમૃદ્ધિનો ખજાનો માનવામાં આવે છે.
ઘરના પાણિયારા પર ત્રાંબા પિતળના બેડા તથા માટલા સ્વરૂપે પણ કળશ બિરાજમાન હોય જ છે. વરસો અગાઉ પાણી પીવા માટે ત્રાંબાના કળશનો જ ઉપયોગ થતો. હજુ પણ દરેક ઘરમાં એકાદ તો ત્રાંબાનો કળશ મળી આવે જ.
આમ બાજોઠ નીચે સ્વસ્તિક, ઉપર કળશ, કળશ ઉપર શ્રીફળ, ફરતા ગોઠવેલા આંબાના કે આસોપાલવના પાન અને પ્રગટાવેલો દિપક, આ બધુ સાથે મળીને સ્થાપનની આસપાસની હવાને હકારાત્મક ઉર્જાથી સભર કરી દે છે જેથી પ્રસન્નતાની સરવાણી વહેતી રહે છે.
__________________________________
૨૦) આરતી રાજપોપટ
શીર્ષક- માંગલ્ય કારી કળશ
ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં દસે દિશાઓ, ઋતુ, પ્રકૃતિના પંચ તત્વો
પશુ-પક્ષી અને સમગ્ર પ્રકૃતિના શુભ અને માંગલ્યને ઝીલતા ચિહ્નો અને પ્રતીકો આપણી આધ્યાત્મિક સંસ્કૃતિમાં વણાયેલા છે. જેમાં
સ્વસ્તિક, શ્રીફળ, ત્રિશૂળ દીવો અનેક છે. એમાં કળશ પણ ભારતીય સંસ્કૃતિનું આવું જ એક અગ્રગણ્ય પ્રતીક છે.
ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે.
કળશ સંસ્કૃત શબ્દ કલેશ પરથી આવ્યો છે. કળશનો શાબ્દિક અર્થ છે; ઘડો- કુંજો, કુંભ.
વિશ્વકર્માએ એક એક કલાઓ લઈ બનાવ્યો હોવાથી કળશ કહેવાય છે. પુરાણમાં તો કળશનું ચોક્કસ માપ પણ આપ્યું છે. એ મુજબ કળશની પરિઘ ૨૫” ઊંચાઈ ૮” તથા તેનું મુખ ૪” પહોળું હોવું જોઈએ.
કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શંકર, મૂળમાં બ્રહ્મા, મધ્યમાં માતૃકાગણ, એની દશેય દિશાના ભાગમાં દિફપાલ, અંદર સાત સાગર- ગ્રહ- નક્ષત્રો, પર્વતો ગંગા આદિ સંહિતાઓ અને ચાર વેદ છે.
સંસ્કૃતિની જ્યારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. જો વર્ષા ન હોત તો જીવન સુકાઈ જાત. તે આપણને જીવતદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ. પરંતુ તેમાં એક અગવડ આવી. વરસાદ તો ફક્ત ચાર મહિના જ આવે અને તે પણ હંમેશા નહીં. આપણા પૂર્વજોએ તેમાંથી રસ્તો કાઢ્યો. કુવા, તળાવ, નદી, બધાનું પાણી વરસાદે જ આપ્યું છે. એક કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ. આ મંગલ ભાવના સાથે કાળક્રમે રસાદિરાજ વરુણ
ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતિકનું સર્જન કર્યું. અને તે કળશનું પૂજન કર્યું. આમ કળશમાં, ઘડામાં પાણી ભરી તેની સ્થાપના કરી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.
હિન્દૂ શાસ્ત્રો મુજબ કળશ ધાર્મિક વિધિ અને પૂજાપાઠ માટે પ્રથમ સ્થાને સ્થાપિત થયેલો છે. કળશ વિના પૂજા પૂર્ણ થતી નથી. જ્યારે પૂજામાં કળશની સ્થાપના થાય છે ત્યારે માનવામાં આવે છે કે ત્રિદેવ અને શક્તિ બિરાજમાન છે. ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, લગ્નપૂજા, ધાર્મિક વિધિઓ બધાજ શુભ કાર્યોમાં કળશ સ્થાપિત કરવાનું વિધાન છે.
પાણી ભરેલા કળશમાં આંબા, આસોપાલવ કે નાગર વેલના ૫,૭ કે ૧૧ પાંદડા તેના છેડા જળને સ્પર્શ કરે તે રીતે મુકાય છે. પછી તેના પર શ્રીફળ મુકાય છે.
પાણી સિવાય સમૃદ્ધિ અને માંગલ્ય દર્શાવવા એમાં અનાજ, રત્નો, સુવર્ણ, અથવા બધાનું મિશ્રણ કરી ભરવામાં આવે છે.
કેટલીક ધાર્મિક વિધિઓમાં કુંભની સ્થાપના કરવામાં આવે છે. કળશ અને કુંભમાં ફેર એટલો જ કે કળશ મુખ્યત્વે પવિત્ર ગણાતી ધાતુનો બનેલો હોય છે જ્યારે કુંભ માટીનો હોય છે.
કુંભ શબ્દમાં કું નો અર્થ ભૂમિ – માટી થાય છે. અર્થાત જે માટીમાંથી બનેલ છે તે કુંભ કહેવાય છે. કાળરૂપી ચાકડા પર પ્રકૃતિના તત્વોને માટી રૂપે મૂકી પરમાત્માએ આ વિશ્વરૂપી કુંભ બનાવ્યો હોવાથી કુંભરૂપ સમગ્ર મંગલતાનું ધામ છે. તે ભાવના કુંભના પ્રતીક પાછળ રહેલી છે.
નવા ઘરમાં પ્રવેશ પહેલા, શબયાત્રામાં આગળ અગ્નિ લઈ જવા દોણીના રૂપમાં, અસ્થિપુષ્પો રાખવા, લગ્ન પ્રસંગે ગણેશ માટલી વગેરેમાં કુંભ પ્રતીક રૂપ લેવાય છે.
પ્રાણીમાત્રનો જન્મ ગર્ભાશયમાં થી થાય છે. ગર્ભાશયનો આકાર ધડા જેવો કલ્પવામાં આવે છે. આમ કુંભની પૂજામાં માતાની પૂજા સમાઈ જાય છે. આથી નવરાત્રીના પૂજનમાં તથા ગરબામાં કુંભની સ્થાપના થાય છે. ગુજરાતમાં નવરાત્રી પ્રસંગે પધરાવીએ એ ગરબો કળશ કે કુંભનું જ સ્વરૂપ છે. માત્ર તે સજળ હોવાને બદલે સ-તેજ હોય છે!
આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતાં. ભાવપૂર્ણ જીવન એટલે ભારતીય જીવન. ભાવના બદલતા જ જીવનનો વ્યવહાર બદલાઈ જાય છે. પથ્થરને સિંદૂર લગાડતા જ ભાવના બદલાઈ જાય. આમ ભાવના એટલે જીવન ભાવશૂન્યતા એટલે મૃત્યુ.
__________________________________
વડોદરા શાખા
૧) જ્યોતિ આશિષ વસાવડા
શીર્ષક – શ્રીફળ
શબ્દ સંખ્યા – 336
નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે….
હો….મારી અંબે માને કાજ રે ભાઈ નાળિયેરી રે…..
હિંદુ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતઓના પૂજન અર્ચનનું મહત્વ સદીઓથી ચાલતું આવ્યું છે. આ દુનિયામાં ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે મનુષ્ય. આ મનુષ્યને જ્યારથી સમજાયું કે તેનું અસ્તિત્વ ઇશ્વરની દેન છે,ઇશ્વરની શ્રેષ્ઠ કારીગરીનો નમૂનો તે પોતેછે, ત્યારથી તેણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાવથી ઇશ્વરની પૂજા કરવાનું શરુ કર્યું. અનેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે શરુઆતમાં મનુષ્ય અન્ય મનુષ્યની જ બલિ ચઢાવતો હતો. કાળાન્તરૅ ઋષિ મુનિઓની સમજાવટથી આદિમાનવે નરબલિની પ્રથા બંધ કરી પણ પશુબલિની પ્રથા શરુ કરી. મુંગા પ્રાણી ઓને દેવી દેવતાઓના ચરણોમાં અર્પણ કરી કૂકડાની બકરીની અને એવા અનેક પ્રાણીઓની બલિ ચઢાવતો થયો. ત્યારબાદ અનેક મહાપુરુષોના અથાગ પ્રાયાત્નથી પશુબલિને પણ છોડીને મનુષ્ય દેવી દેવતાઓ આગળ બલિ સ્વરુપે શ્રીફળ વધેરવાનું શીખ્યો. તથી જ તો શ્રીફળ ને આંખો ચોટલી વગેરે પણ રાખવામાં આવેછે. શ્રીફળ વધેરવાથી દેવી દેવતાઓની પૂજા કે યજ્ઞ પણ સમ્પન્ન થાય છે અને કોઇ પણ જીવને નુક્સાન પહોંચાડયા વગર બલિ ચઢાવવાનો સંતોષ પણ થાયછે. આવી રીતે આપણા ઋષિમુનિઓઍ વચલો માર્ગ કાઢ્યો.
હવે સવાલ થાય કે આટલી બધી વસ્તુઓ આધુનિક યુગમાં પ્રાપ્ય છે તો પણ દેવી દેવતાઓ સમક્ષ શ્રીફળ જ કેમ વધેરવામાં આવેછે? એટલે કે શ્રીફળની જ પસંદગી કેમ કરી? આનો ઉત્તર સમજવા માટે આપણે શ્રીફળની લાક્ષણિકતાઓ સમજવી પડશે. શ્રીફળ ઍ દરિયા કિનારે થતુ એવુ ફળ છે કે જેનો એકપણ ભાગ નકામો જતો નથી. શ્રીફળની અંદરનું મીઠું પાણી, મલાઈ, કોપરું અને કઠણ કાચલી તો દેખીતી રીતે જ ઉપયોગમાં લેવાય છે પરંતુ સાથે સાથે બહારના રેસા પણ કાથી બનાવવા માટે વપરાતા હોય છે. શ્રીફળના અસ્તિત્વનું એકપણ તત્વ નકામુ નથી જતું. તદઉપરાંત શ્રીફળ ઉપરથી ખુબજ કઠણ અને અંદરથી મૃદુ હોયછે. તેથી આપણે કહી શકીઍ કે પ્રભુનું કાર્ય કરનાર વ્યક્તિ પણ શ્રીફળ જેવો હોય ત્યારે પ્રભુ તેનો સ્વીકાર કરેછે. જેનું અસ્તિત્વ સમાજના અન્ય લોકોને ઉપયોગી હોય અને જે પોતે શ્રીફળની જેમ ઉપરથી કઠણ,કડક પરંતુ હૃદયના અંતરથી મૃદુ,પોચો, લાગણીઓથી, સંવેદનઓથી ભરપુર હોય તેવો મનુષ્ય પ્રભુને સ્વીકાર્ય છે, આ વાત આપણને આ શ્રીફળના પ્રતિક પાસેથી જાણવા અને શીખવા મળેછે,કે જો મારે પ્રભુ કાર્ય કરવું હશે તો મારે શ્રીફળની જેમ સમાજને,અન્યને ઉપયોગી થાવું પડશે.
———————————————————
૨) ઋતંભરા છાયા.
શિર્ષક-આપણી સંસ્કૃતિનું પ્રતિક “કળશ”.
શબ્દ સંખ્યા-391
આપણી ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય,વ્યાસમાન્ય સંસ્કૃતિ.સંસ્કૃતિના મહાન વિચારસુત્રો જ પ્રતિકોમાં પરિણમ્યા.”કળશ”ઍ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતિક છે.તેથી જ કોઇ પણ શુભપ્રસંગના આરંભમાં
જેમ વિઘ્ન્હર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે,તેમ કળશની પૂજા કરવામાં આવે છે. દેવપૂજા કરતાં અગ્રસ્થાન આ કળશને મળે છે.
“કળશ” સંસ્કૃત શબ્દ કલેશ પરથી આવ્યો છે.કળશનો શબ્દિક અર્થ છે—ઘડો,કુંજો,કુંભ જે કાંસ્ય,તાંબું,
રજત અથવા સ્વર્ણપાત્ર હોય છે. કોઇપણ શુભપ્રસંગની શરુઆતમાં કળશમાં પૂજા માટે પાણી ભરવામાં આવે છે.એના મુખ પર આસોપાલવના 5,7 કે11 પાનનાં છેડા કળશમાં રાખેલ જળને સ્પર્શે તે રીતે મુકવામાં આવે છે.
ત્યારબદ તેની ઉપર શ્રીફળ મુકવામાં આવે છે.શ્રીફળને કોઇકવાર લાલ કપડું કે લાલ દોરાથી વિટાળવામાં આવે
છે.જ્યાં કળશની સ્થાપના કરવાની હોય ત્યાં હળદરથી અષ્ટદળ બનાવવામાં આવે છે.તેના પર ચોખા મુકવામાં
આવે છે.તે પછી તેના ઉપર કળશની સ્થાપના કરવામા આવે છે.વાસ્તવમાં કળશ એટલે લોટામા ભરેલુ,ઘડામાં
ભરેલું પાણી જ.પરંતુ તેની સ્થાપના પછી,તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં ઓજસમય પાણી બની
જાય છે.જ્યારે આપણે કળશની સ્થાપના કરી પૂજા કરીયે છીયે ત્યારે કળશનાં પાણીમાં વરુણદેવ આવીને બિરાજે
છે.ઍ રીતે આપણે વરુણ દેવને આહવાહન પણ આપીએ છીયે.આપણું રક્ષણ કરવા માટે પ્રાર્થના પણ કરીયે છીયે.
આપણાં ઋશિમુનિઓઍ કળશ પૂજન અને સ્થાપના વખતની પ્રાર્થનાના શ્લોકો પણ ખૂબ જ ભાવપૂર્ણ આપ્યા છે.તે પ્રાર્થના પછી તે કળશ ન રહેતાં તેમાં બ્રહ્માંડની વ્યાપકતા અનુભવાય છે.
“કલસ્ય મુખે વિષ્ણુ,કંઠે રુદ્ર સમાશ્ર્રીત:। મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, મધ્યે માતૃગણ: સ્મૃતા:॥“
આપણાં ઋશિમુનિઓઍ નાનાં એવા પાણીના કળશમાં બધા દેવો,વેદો,સમુદ્ર,નદીયો,સાવિત્રી,ગાયત્રી વગેરેની
સ્થાપના કરી દીધી છે.જાણે બિંદુમાં સિંધુ દર્શન! આ જ તો આપણી સંસ્કૃતિની મહાનતા છે અને ઋશીઓની વિદ્વત્તા છે.
ઘણી જગ્યાઍ માથા પર શ્રીફળ યુક્ત કળશ લઈને ઉભી રહેતી કુમારિકાઓને આપણે જોઇયે છીયે, તે
ભાવભીના આતિથ્ય સત્કારનો અનોખો પ્રકાર છે.ગુજરાતમાં નવરાત્રિ પ્રસંગે મુકાતો ગરબો ઍ કળશ કે કુંભનું જ
સ્વરૂપ છે.માત્ર તે “સજળ “ હોવાને બદલે “સતેજ”હોય છે.એમ તો કળશ એટલે છેવટની ટોચ,જે પૂર્ણતાનું સ્વરૂપ
છે,પ્રતિક છે.હમેશાં મન્દિરોમા કલશનુ સ્થાન ટોચ ઉપર જ હોય છે.એમ કહેવાય છે કે મંદિરમાં ભગવાનના દર્શન
કરી કલશનાં દર્શન ન કરીયે તો દર્શન અપૂર્ણ કહેવાય!.મંદિર પર ચડાવવામાં આવે જે કળશ તે કરેલા પુરુષાર્થ
કાર્યની પૂર્ણતાનું પ્રતિક છે. પૂજ્ય આઠવલેજી કહે છે કે,કળશ ઍ માનવ દેહનું પ્રતિક છે.શરીર આપણું સુંદર છે, પવિત્ર છે,જ્યાં સુધી તેમા જીવનરૂપી જળ અને પ્રાણ છે ત્યાં સુધી જ.કળશમાંનું પાણી જે રીતે વિશાળ જળરાશિનો અંશ છે,તેવી જ રીતે દેહરુપી કળશમાં રહેતો જીવાત્મા તે વ્યાપક ચૈતન્યનો એક અંશ છે.તેથી જ “કળશ” એક ઉત્તમ પ્રતિક બની રહે છે. ———————————————————
૩) અંજના ગાંધી “મૌનું“
શીર્ષક – દિપક.
શબ્દ સંખ્યા – લગભગ ૨૨૦.
દિપક- “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.” આ પરમ તેજ એટલે શું? ” तमसो मा ज्योतिर्गमय”.
દિપક એટલે ઉજાસનો એક સ્ત્રોત! તમારા મનને એક અંધકાર કે નિરાશા જો ઘેરી વળે તો તમે એને પોઝીટીવ એટલે કે હકારાત્મક અભિગમ તરફ વાળી શકો! દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ધર્મમાં, પ્રકાશ, દિપક, મીણબત્તી, ધૂપ, આગ – આતશ આ બધાનું મહત્વ છે. તો એની પાછળ કોઈ સબળ અને ચોક્કસ કારણ જરૂરથી હશે? અને હા, છે! તમારા મનને, તમારા મુંઝાતા ભાવને એક પ્રકાશમય, તેજોમય દિશા તરફ લઈ જવું એટલે દિપક પ્રગટાવવો!
દિપક બની પ્રજળવું. દિપકનાં તેજોમય વલયો એ ઊર્જાનું પ્રતિક છે. જે તમને ચારે દિશાઓમાંથી પ્રકાશ અને જ્ઞાન આપે છે જ્યારે તમને એની સખત જરૂર હોય છે! જ્યારે આપણે શુભ કામનો આરંભ કરીએ છીએ ત્યારે આપણે ત્યાં દિપક પ્રગટાવવાની પ્રથા છે. તેનો અર્થ એ છે કે તમે જે શુભ કાર્ય આરંભો છો તો હવે તમને ક્યારેય, ક્યાંય પણ કચાશ ન નડે! આ જીવન એવો જ પ્રકાશ રહે જેવો તમે એ દિપક પ્રગટાવીને ત્યારે કર્યો છે. એમ પણ કહેવાય છે કે ઘી ને બાળવાથી, એટલે કે ઘી નો દિવો બાળવાથી વાતાવરણમાં જે બળેલા ઘીનો ધુમાડો થાય છે, એ આપણાં આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જે આપણી ચામડીને એક તેજસ્વિતા અર્પે છે. આપણાં પૂર્વજો આ બધું સારી રીતે જાણતાં હોવાથી આ વાતને તેઓએ ધર્મ અને શ્રધ્ધા સાથે વણી લીધી છે!
એકંદરે દિપક આપણને સ્વસ્થ, હકારાત્મક અને હંમેશા તેજસ્વી, જ્ઞાની રહેવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. એવું મારું માનવું છે!
——————————————————–૪) વિશાખા.પોટા.
શિર્ષકસ્વસ્તિક.
શબ્દ સંખ્યા-250
સ્વસ્તિક એ ભારતીય સંસ્કૃતિનું અજોડ પ્રતિક છે.ભારતીય સંસ્કૃતિ એટલે વેદમાન્ય,વ્યાસમાન્ય, સંસ્કૃતિ. જગતની લગભગ બધી સંસ્કૃતિઓ લુપ્તપ્રાય થઈ ગઈ છે ત્યારે બીજા શાસકો આવ્યા અને અનેક પ્રહારો પછી પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે.સંસ્કૃતિ એટલે વિચાર પ્રણાલિ,જીવન પ્રણાલિ,અને ભક્તિ પ્રણાલિ.આ બધાનો સમન્વય એટલે એમના પ્રતિકો.બિંદુમાં સિંધુને સમાવા જેવી વાત.
કોઇપણ શુભ કાર્યની શરુઆત બ્રાહ્મણો “સ્વસ્તિમંત્ર”બોલીને કરે છે.સ્વસ્તિક શબ્દ “સુ+અસ” ધાતુમાંથી બનેલો છે.”સુ” એટલે સારું,મંગલકારી,કલ્યાણકારી.”અસ”એટલે અસ્તિત્વ .માંગલ્યનું અસ્તિત્વ.એનું પ્રતિક એટલે સ્વસ્તિક.એને ધર્મ પ્રતિક પન કહેવાય છે.ઍક ઉભી રેખા અને તેના ઉપર બીજી આડી રેખા એ સ્વસ્તિક્ની મૂળ આકૃતિ.ઉભી લીટી જ્યોતિર્લિંગનું સુચન કરે છે.જે વિશ્વની ઉત્પતિનું મૂળ કારણ છે.આડી રેખા વિશ્વનો વિસ્તાર બતાવે છે.સ્વસ્તિક્ની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ.એનાથી તેઓ ચારે દિશાનું પાલન કરે છે.
ગણેશ પુરાણમાં ચાર ભુજા એટલે ચાર યુગ કહ્યા છે.સ્વસ્તિક્ની મધ્યમાં ચાર બિંદુ એટલે ચાર આશ્રમ.”અમર-કોશ”માં લખ્યું છે કે”સ્વસ્તિક:સર્વતો ભદ્ર” એટલે બધી બાજુથી કલ્યાણ થાય.બધાનું ભલું થાય એવી ભાવના.
કોઇપણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલા સ્વસ્તિકની પુજા થાય છે.વિવાહ
વખતે પણ સાથિયાનું બહુ મહત્વ છે.નવજાત શિશુને પણ સ્વસ્તિક દોરેલા નવાં કપડાં ઉપર સુવાડે છે.
ઘરનાં ઊંબરની પુજા પણ બહેનો કંકુનો સાથિયો કરીને કરે છે.આમ કરીને બધાંને પ્રેમથી આવકાર આપે છે. “વસુધૈવ કુંટુંબકમ્ં “ભાવના દશાર્વે છે.
ભારતની સ્થાપત્ય કળામાં અને મંદિરોમાં પણ સ્વસ્તિક જોવા મળે છે.સ્વસ્તિક સકારાત્મક વિચાર પ્રદાન કરે છે.દરેક વાર-તહેવારે પહેલા સ્વસ્તિક ની પુજા થાય છે.
ટુંકમાં સ્વસ્તિક એટલે શુભ-મંગળનું મિલન.
——————————————————— ૫) લતા ડોકટર
શીર્ષક-ત્રિશૂળ
શબ્દ સંખ્યા-૨૪૭
આપણા દેવી-દેવતાઓ શસ્ત્રધારી છે અને જે તે શસ્ત્ર એ દેવી-દેવતાની ઓળખ બની ગયા હોય છે.
ત્રિશૂળ મહાદેવ, માતાજી અને દત્તાત્રેયના હાથમાં શોભી રહ્યું હોય છે. દત્તાત્રેયમાં શંકરનો પણ અંશ છે ને?
મહાદેવ એક માત્ર એવા દેવ છે જેમની સાથે સંકળાયેલી પ્રત્યેક વસ્તુ પૂજનીય બની છે. ત્રિશૂળ એમાંનું એક. મહાદેવના હાથમાં શોભતું ત્રિશૂળ માત્ર સંહારક શસ્ત્ર જ નથી પરંતુ એ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. ત્રિશૂળ પવિત્રતા અને શુધ્ધતાનું પણ પ્રતિક છે.
મહાદેવ સાથે ત્રણની સંખ્યા સંકળાયેલી છે… ત્રિશૂળ, ત્રિનેત્ર, ત્રિપુંડ અને ત્રિદલ(બીલીપત્ર).
ત્રિશૂળ આપણા જીવનના ત્રણ શૂળ-આધિ, વ્યાધિ, ઉપાધિનું પણ પ્રતિક છે. આ ત્રણેનો ઉકેલ શિવજી પાસે છે.વળી શિવ ત્રિગુણાત્મક શક્તિના અધિષ્ઠાતા છે એની પ્રતીતિ પણ ત્રિશૂળ કરે છે.સમસ્ત સૃષ્ટિમાં ત્રણ પ્રકારની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ હોય છે-સાત્વિક, રાજસી અને તામસી-ત્રિશૂળ સૂચવે છે કે એ ત્રણે વચ્ચે સંકલન જરુરી છે.વળી શરીરનું સંચાલન કરતી ત્રણ નાડી-ઈડા,પિંગડા અને શુસુમણાનું પણ ત્રિશૂળ પ્રતિક છે.
શિવજી પિનાક ધનુષ ધારણ કરે છે,પણ ત્રિશૂળ તો એમની ઓળખ. સમાધિમાં બેઠેલા શિવની બાજુમાં જ એમનું ત્રિશૂળ પણ હોય જ. શિવજી ક્યારેય ત્રિશૂળને એમનાથી દૂર નથી કરતા. એક એવી પણ માન્યતા છે કે સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે જેમણે શ્રધ્ધાપૂર્વક શિવને ભજ્યા હશે તેમને શિવજી પોતાના ત્રિશૂળ પર ઊંચકી લેશે.કાશ્મીરના એક મંદિર માં તો વળી ખંડિત ત્રિશૂળની પૂજા થાય છે. વિશાળ ત્રિશૂળના ત્રણ ટુકડા જમીનમાં સ્થાપિત થયેલા છે અને આ ત્રિશૂળ સાક્ષાત શિવજીનું છે એમ મનાય છે.
ત્રિશૂળ માતાજીનું પણ શસ્ત્ર મનાય છે. અરે ત્રિશૂળ પર ચુંદડી ચડાવી દો તો એ માતાજીનું સ્થાનક કહેવાય!!
ટુંકમાં કહું તો…
જો ચુંદડીથી એ શણગારાય
તો ત્રિશૂળ દેવીરુપે પૂજાય
ત્રિશૂળ સંગ સોહે ડમરું, તો
મહાદેવનું સ્થાન એ કહેવાય.
——————————————————–
૬) જ્યોતિ પરમાર
શીર્ષક -શ્રીફળ
શબ્દ સંખ્યા-૧૩૧
શ્રી એટલે લક્ષ્મી અને લક્ષ્મી વગર તો કોઈ કાર્ય કરવું શક્ય જ નથી.
શુભ કાર્યોમાં દેવી દેવતાઓની સામે શ્રીફળ વધેરવામાં આવે છે જે બલિનું પ્રતીક છે, પહેલાંના સમયમાં પશુઓની બલિ અપાતી તને સ્થાને શ્રીફળ વધેરવામાં આવવા છે. જન્મથી માંડી મરણ સુધીનાં બધાંજ પ્રસંગોમાં શ્રીફળનો ઉપયોગ થાય જ છે.
વ્યંજનોમાં સ્વાદ વધારવાથી અલાયદી મિઠાઈમાં પણ સ્થાન પામ્યું જ છે.
શ્રીફળનો આકાર બે આંખો અને મોઢું ધરાવતું ફળ. વધેરવાનું કારણ અનિષ્ટ થતું રોકવાનો જ. ઉપરથી કઠોર અહંકારનું પ્રતીક જ્યારે અંદરથી નરમ. ક્યારેક વ્યક્તિ ને જે ઉપરથી ગંભીર ને અંદરથી દયાળુ હોય તેને નારિયેળ સાથે પણ આપણે સરખાવતાં હોઈએ છે.
હિંદુ જન્મથી માંડી મરણ સુધી આ શ્રીફળનો ઉપયોગ કરે જ છે.
કેટલી અચરજની વાત કે આટલું કાઠું ફળ અને તેમાં અમૃત જેવું મીઠું જળ ભર્યું કોણે? અને કેવી રીતે? વાહ રે! કુદરત.
———————————————————
૭) ઝંખના વછરાજાની.
ગામ-વડોદરા.
શીર્ષક-શ્રીફળ.
શબ્દસંખ્યા-૨૨૧
સર્વ ફળોમાં એક શ્રીફળ શ્રેષ્ઠ ફળ ગણાય છે. ત્રિગુણાત્મક ગુણોથી સભર એનાં ત્રોફાતનમાં રંજ,તમ,સત્વ સમાયેલા છે.ફળવર્ણમાં અદકેરું મહત્વ શ્રીફળનું જ.સર્વ રુતુમાં પ્રાપ્ય ફળ છે.
શ્રીફળ એવું ફળ છે જે રેસારુપી છાલનાં વસ્ત્રરુપે શોભિત છે. એ વસ્ત્રહરણ સમ છાલ છોલતાં મુખ દર્શન થાય છે.જટા,કેશ ને ભાલ ભવ્યતારુપે તો નેત્ર,નાસિકાથી વધુ રુપાળું શ્રીફળ રામનામ અને સીતાફળમાં દાંમપત્ય-ભાવે જોઈ શકાય છે.
શ્રીફળમાં મીઠડાં પાણી હોય છે.દરિયાનાં ખારાં પાણીએ ફળના વૃક્ષ વિકસતા ફળ પાંગરે તોય મલાઈ-પાણી મીઠાં થાય છે.સાકર જેવું મીઠડું પાણી કઠોર કાચલે સમાવી કૂણું હૈયું કોપરું મળે છે.તો હૈયું સુકાય જાય વારિવિયોગે તોય ઉપરથી યથાવત્ રહેતું શ્રીફળ હૈયું નિચોવી દેતા કોપરાનું તેલ પુરતું આપે છે. સત્વશીલ શ્રીફળ તરવરિયા યુવાન જેવું ઉપયોગી.
કોઈપણ શુભ કાર્યમાં કળશ સાથે શ્રીફળ પ્રથમ પૂજાય છે.ઘરના મોભે સૂતર સંગે શ્રીફળ બાંધવામાં આવે છે.તોરણરુપે બંધાય છે.તો શ્રાવણી પૂનમે દરિયાલાલના પ્રવાસે જતાં નાવિક શ્રીફળથી નૌકામહિમા વધાવી સુકાન ઝાલે છે.હવનમાં બીડું અને હોળીમાં શ્રીફળ કે હોમાય છે. માતા મંદિરમાં વધેરાય છે.દરગાહ,પીરમાં મુખ્ય ગણાતું, તાબૂત તળિયે જે તોડાય,ભૂવા,ડાકલાંને ભૂત પ્રેતમાં મલિન તંત્રમાં મંત્ર મેલાય એ શ્રીફળ થકી જ.
વર પરણવા ચડે કરમધ્યે લઈ શ્રીફળ,દુર્વા સંગે ઘટસ્થાપનમાં શ્રીફળ બિરાજે ઠાઠથી.માંદુ માણસ બેઠું કરતું મધુર શ્રીફળ વારિતો પ્રસૂતાનારી ને સાતફેરા ઉતારી નિરોગી રહેવા ચાર રસ્તે જળકુંડાળે શ્રીફળ મુકાય છે.આમ અનેક માન્યતા સંગ શ્રીફળ મહિમા અપરંપાર છે.એકાક્ષી શ્રીફળ લક્ષ્મીરુપ મનાય છે. વડીલો કાયમ એવા આશીર્વાદ આપે કે શ્રીફળ જેવાં બહારથી કઠોર,ભીતરથી મીઠાં છલોછલ મુલાયમ રહો.
———————————————————
૮) સ્મિતા શાહ
શબ્દ: ૨૦૦
શીર્ષક-કળશ
કળશ એ સંસ્કૃત શબ્દ છે જેને આપણે લોટો, કે જળપાત્ર પણ કહી શકીએ.
હિન્દુ ધર્મમાં કળશનું ખુબ મહત્વ છે .
ધાતુ કે માટીમાંથી બનાવેલા પાત્રમાં જળ ભરી એમાં આંબાના પાન અને ઉપર રાખવામાં આવતું નાળિયેર, એ સંપૂર્ણતાનું પ્રતિક છે . છેક ઋગ્વેદનાં સમયથી ચાલી આવતી આ પરંપરામાં કળશ ને પૂર્ણ ઘટ, સોમ ઘટ, કે મંગળ ઘટ તરીકે ઓળખાય છે .
હિન્દુ ધર્મની દરેક પૂજા વિધિ, પ્રસંગો, માન્યતાઓમાં કળશ અનિવાર્ય છે . જેમકે લગ્ન, જન્મ, હવન, ગૃહપ્રવેશ અથવા બીજી કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ અધૂરી છે . કહેવાય છે કે કળશમાં સર્વ દેવો, દેવીઓ, નદીઓ, વેદો, અને પ્રકૃતિના તમામ અંશો સમાવિષ્ટ હોય છે . દરેક પૂજાના પ્રારંભમાં સહુનું આહ્વાન અને પૂજા કરવામાં આવે છે ત્યાર પછી જ બીજી ક્રિયાઓનો થાય છે.
કળશ નો નીચેનો ભાગ એટલેકે બેઠક એ પૃથ્વી સ્વરૂપ છે.
વચ્ચેનો ભાગ ગર્ભ અથવા જળ સ્વરૂપ છે .
ગળાનો સાંકડો ભાગ અગ્નિ સ્વરૂપ અને ઉપરનો ખુલ્લો ભાગ એ વાયુ સ્વરૂપ છે
એમાં રાખવામાં આવતું નાળિયેર આકાશ સ્વરૂપ અને આંબાના પાન તથા ફૂલ પ્રકૃતિ સ્વરૂપ ગણાય છે .
આમ પંચભૂત પંચતત્વ અને ચક્રો સાથે એનું સંકલન છે .
નાળિયેરનું શીર્ષ સહસ્ત્રાધાર ચક્ર અને બેઠકનો ભાગ મૂલાધાર ચક્રનું દ્યોતક છે .
બ્રહ્માજીના હાથનાં કળશમાં અમૃત અને લક્ષ્મીજી નો કળશ સમૃદ્ધિ થી ભરેલો હોય છે એમ માનવામાં આવે છે.
આમ હિન્દુ ધર્મમાં કળશનું ખુબ મહત્વ છે. આંધ્ર પ્રદેશનું રાજકીય ચિન્હ પણ કળશ છે.
———————————————————
૯) બંસરી જોષી.
શીર્ષક:”શ્રીફળ”
શબ્દસંખ્યા:976
ઋષિમુનિઓ અને અવતારીપુરૂષોએ કાળ અનુસાર અમુક વિશિષ્ટ પ્રકારની વિચારપ્રાણાલી અને આચારસંહિતાને આપણી સંસ્કૃતિમાં સંમેલિત કરી હતી અને એમાં વિવિધ પ્રકારના વિચારસૂત્રો પણ દર્શાવવામાં આવેલા. આ વિચારસૂત્રો કાળક્રમે “પ્રતીકો”માં પરિણમ્યા. જો યોગ્ય અર્થમાં આ પ્રતીકોને સમજવામાં આવે અને એ અનુસાર ઉત્સવો ઉજવાય તો કોઈ પણ કાળે સંસ્કૃતિ પુનઃજીવન પામી શકે.
“Our civilazation is what we use and our culture is what we live”-Unknown.
પ્રતીકોને સભ્યતા કરતા સંસ્કારો સાથે ઊંડો નાતો હોય છે અને એટલે જ સંસ્કારસર્જન એનાથી શક્ય બને છે. તો આપણે પણ આજે એક પહેલ કરીએ અને એક વિશિષ્ટ પ્રતીક પાછળ રહેલા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરીએ અને એ મુજબ જીવવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ.
ઘણીવાર સમાજ બે વર્ગમાં વહેચાયેલો જોવા મળે છે. એક એવા પ્રકારના સજ્જનો જે “નાળિયેર” જેવા હોય. જ્યારે બીજા પ્રકારના સજ્જનો જે “બોર” જેવા હોય. બહોળો વર્ગ આજે “બોર” જેવા લોકોનું અનુસરણ કરી રહ્યો છે. જે બહારથી જ મનોહર દેખાય છે. બોરને મોઢામાં મૂકીયે ત્યારે પ્રથમ મીઠાશ અને એનું મુલાયમપપણું સ્પર્શે પણ અંદરનો ઠળિયો કઠોર હોય. દુષ્ટઆંતરમનની વ્યક્તિ પણ બહુધા બહારથી મીઠી અને મુલાયમ વાણીની હોય છે પરંતુ એમનું અંતરમન બહુધા ઠળિયા માફક જ કઠોર હોય છે. જ્યારે તેનાથી વિપરીત સજ્જન વ્યક્તિની વાણી નાળિયેર જેવી બહારથી કઠોર હોઈ શકે પણ સમય જતા એમની સાથેના સંબંધો નાળિયરના પાણી જેવા ભાવસભર અને કોપરા જેવા પુષ્ટિવર્ધક સાબિત થઈ શકે પણ મનુષ્યને સારા બનવા કરતા સારા દેખાવું એ કદાચ વધુ સરળ થઈ પડ્યું છે. કારણકે સારા બનવા માટે અમુક કષ્ટો અથવા પીડાઓને સહન કરવી પડે છે. ઘસાઈ છૂટવું પડે છે. જે “બોર” જેવા વર્ગ માટે અઘરું છે અને કદાચ એટલે જ આજનો સમાજ વ્યક્તિત્વપૂજાનો બની રહ્યો છે નહિ કે ચારિત્ર્યપૂજાનો.
But our personality is what we seem and our character is what we are.
શ્રીફળનો પર્યાય એટલે ચારિત્ર્યપૂજા. બાહ્યસુંદરતાનો અભાવ હોવા છતાં નાળિયરે કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિના પૂર્વગ્રહને ફગાવી પોતાની આંતરિક સુંદરતા એટલી ખીલવી કે એ એક ગૌરવપ્રદ બિરૂદ પામ્યું. નાળિયરમાંથી રૂપાંતરિત થઈ “શ્રીફળ” કહેવાયું.
એક સુંદર કાયા મળવી એના કરતાં અનેકગણું મહત્વ છે આંતરસુંદરતાનું. બાહ્ય રમણીય દેખાવ સુલભ થવો એ માણસના હાથની વાત કદાચ ના હોઈ શકે. પણ માણસ ધારે તો યથોચિત અંતરથી સૌંદર્યને જરૂર પ્રાપ્ત કરી શકે. એના શ્રેષ્ઠ ઉદાહરણો એટલે સોક્રેટિસ,અબ્રાહમ લિંકન,મુનિ અષ્ટાવક્ર. જેમની બાહ્યકુરૂપતા ગૌણ બની ગઈ જ્યારે એમની આંતરીકસુંદરતાનો વિસ્તાર ચોમેર ફેલાઈ ગયો.
આંતરિક સુંદર હોવું એટલે શું?આંતરિક સુંદર હોવું એટલે વિચારનું સુંદર હોવું. અમુકેક વિશિષ્ટ ગુણનું સૌંદર્ય હોવું અને જીવનનું સૌદર્ય હોવું. જો આ તમામ ભીતરે ભળી જાય તો બાહ્યસૌન્દર્ય ગૌણ બની રહે. એનું સર્વોત્તમ ઉદાહરણ એટલે “મુનિ અષ્ટાવક્ર”. રામાયણકાળની આ વાત છે જ્યારે એકવાર મહર્ષિ અષ્ટાવક્ર રાજર્ષિ જનકની સભામાં ગયા. એમના દેહની વક્રતા જોઈ સૌ કોઇ હસવા લાગ્યા. મહર્ષિ આ સૌ કોઈને જોઈને હસવા લાગ્યા. તો જનકે ઉપસ્થિત પંડિતોને હસવાનું કારણ પૂછ્યું. તો એ સૌ અષ્ટાવક્રના આઠેય અંગથી મરડાયેલી વક્ર કાયાનો વિનોદ કર્યો. બીજી તરફ જનકે મહર્ષિ અષ્ટાવક્રને પણ એમના હસવાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું:” જનક જેવા વિદેહી રાજાની સભામાં પંડિતો કરતાં ચામરો બેઠા હોય એવું લાગી રહ્યું છે. કારણકે આ તમામ પંડિતોનું ધ્યાન માત્ર મારી કાયાની અને ચામડીની વક્રતા પર જ ગયું. કોઈએ પણ મારૂ ગુણસૌંદર્ય,વિચારસૌંદર્ય કે જીવનસૌંદર્ય પારખ્યું નહીં. બહારની ફક્ત ચામડી જોનારા તો ચમાર જ હોઈ શકે ને? અષ્ટાવક્ર ના આ વિધાન સૌને સોંસરવા ઉતરી ગયા અને સૌને સ્વયંની વિચારશૈલી પર શરમ પણ અનુભવાઈ.
ઉત્તરરામચરિતની આ પંક્તિમાં એક સરસ વાત કહી છે.”વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોત્તર પુરૂષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે?” શ્રીફળ કદાચ આ તમામ મહાપુરૂષોની મહાનતાનું જ પ્રતીક છે. શિષ્ટાચાર અને આત્મશાસનમાં કઠોર જ્યારે બીજાને દંડિત કરવામાં કોમળ. આવા લોકો કર્તવ્યોને જીવન સાથે મજબૂત રીતે જોડેલુ રાખે છે. નબળી ભાવનાઓનો પ્રવાહ એમને તાણી શકતો નથી અને એટલે જ એ લોકો કર્તાવ્યપથથી ચ્યુત નથી થતા. આ કોરોનાકાળ અને લોકડાઉનનીની શ્રેષ્ઠ ભેટ એટલે દૂરદર્શન પર પુનઃ પ્રસારણ પામેલી “રામાયણ” માનવદેહમાં પણ શ્રેષ્ઠ આદર્શ સ્થાપિત કરી બતાવનાર શ્રી રામ એમ જ થોડી ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરૂષ કહેવાયા હશે?
નાળિયેર આમ એક ફળમાત્ર છે પણ જ્યારે કુરુપતા પર સુંદરતાનો અને કઠોરતા પર મૃદુતાનો વિજય પ્રાપ્ત કરતા આવડી જાય તો એનાથી મોટો વૈભવ અથવા “શ્રી” કઈ હોઈ શકે? એટલે શ્રીફળ આપણને ઉત્તમ મનોવૈભવનું દર્શન કરાવે છે.
મંદિરમાં વધેરાતાં શ્રીફળ પાછળ પણ બલિદાનનો ભાવ દર્શાવાય છે. જેમકે પહેલા પશુબલી કે મનુષ્યબલી પ્રચલિત હતી. ઋષિમુનિઓના નિરંતર પ્રયાસ થકી આ માન્યતા ઘણા અંશે ઘટી. નાળિયેરને પણ આંખ,નાક,માથું અને ચોટલી હોય છે એટલે એનું બલિદાન પણ એટલું જ યોગ્ય રહેશે જેટલું પશુબલીનું. રહી વાત રક્તના છાંટાઓની તો એના માટે પણ મુનિઓએ સિંદૂરનો કીમિયો શોધ્યો અને મૂર્તિઓ પર સિંદૂર લગાવી નાળિયરના પાણીનો છંટકાવ કરવા કહ્યું અને આમ માનવના હાથે થતા જઘન્ય અપરાધોથી મુક્તિ અપાવી. આદિમાનવથી વધીને માણસ સંસ્કૃતિસભર માણસ શ્રીફળ થકી બની શકયો. દરેક શુભ કાર્ય પણ કોઈ પણ પ્રકારે બલિદાન તો માંગે જ એ ભાવનું સૂચક એટલે શ્રીફળપૂજા. આ થયું શ્રીફળનું આધ્યાત્મિક મહાત્મ્ય.
વૈજ્ઞાનિક રીતે પણ એનું અનોખું મહત્વ છે. નાળિયેરમાં પ્રચુર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી પેરાસાઇટીક ગુણ હોય છે. જે શરીરમાં સંક્રમણને આવતા રોકે છે. ગંભીર બીમારીઓ આવતા પણ રોકે છે. કાચા નાળિયેરમાં ફાઈબરની માત્રા અધિક હોય છે. જે શરીરની ઉર્જા વધારવામાં મદદરૂપ થાય છે. અન્ય ઘણા રૂપે જેમકે તેલ,પાઉડર,દૂધ સ્વરૂપે પણ એ ગુણકારી અને લાભદાયી છે.
છત્તીસગઢના રાયપુરમાં વસતા અને કૃષિવિભાગમાં કામ કરતા બી.ડી.ગુહાએ આશ્ચર્યજનક રીતે નાળિયરથી બ્લડગ્રુપની ઓળખ કરવાની પદ્ધતિ વિકસાવી છે. ગુહા કોઈ પણ વ્યક્તિને સ્પર્શ્યા વગર માત્ર 10 સેકન્ડમાં વ્યક્તિનું બ્લડગ્રુપ જાણી લે છે. એમના કેહવા અનુસાર વિવિધ બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિઓમાં નાળિયેર વિવિધ દિશામાં ફરી જાય છે. કુલ 8 બ્લડગ્રુપ હોય એમાંથી તે 5 બ્લડગ્રુપની સટીક ઓળખ કરી બતાવે છે. માત્ર નાળિયેરના માધ્યમથી. જે અચરજ પમાડે એવું છે. વૈજ્ઞાનિક રીતે પણ તે ગુણકારી જ છે જેટલું કે આધ્યાત્મિક રીતે.
આ શ્રીફળ આપણને સમજાવે છે કે લોકોના મર્મ ભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ. પહાડમાંથી પણ ઝરણું ફૂટે એમ જ સતત પુરૂષાર્થ કરવાથી જીવનમાં આંતરસૌંદર્યનો સ્ત્રોત ઉદભવી શકે છે. દરિયાની ખારાશને હૃદયમાં સમાવી મીઠું પાણી બક્ષનાર શ્રીફળ દ્વંદોમાં સમન્વય સાધવાની દીક્ષા આપે છે. પ્રતીક તરીકે પૂજાતુ શ્રીફળ આવો જ કોઈ સંદેશ સતત આપે છે.આપણે પણ એના જેવા ગુણો થી સભર થઈએ એવી ઈશ્વરને પ્રાર્થના.
——————————————————–૧૦) નિષ્ઠા વછરાજાની
શીર્ષક – કળશ
શબ્દ સંખ્યા – ૫૫૨
કળશને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ માનવામાં આવે છે. કળશ એ તમામ તીર્થસ્થાનોના પવિત્ર નદીઓના જળ તથા તમામ દેવી-દેવતાઓની શક્તિના પ્રતીક તરીકે લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કળશમાં સાક્ષાત દેવી- દેવતાઓનો વાસ હોય છે. આપણા હિંંદુ શાસ્ત્રો અનુસાર, કોઈપણ માંગિલક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, ધાર્મિક વિધિ, કે શુભપ્રસંગોમાં સૌપ્રથમ “કળશ”નું એટલે “ઘટ”નું સ્થાપન કરવામાં આવે છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી ને દિવાળીના દિવસોમાં પણ પાંચ દિવસ સુધી કળશ સ્થાપન કરવામાં આવે છે. વળી, કળશમાં જળ ભરીને *સૂર્યને અર્ઘ્ય* અર્પણ કરવાની પ્રથા પણ સદીઓથી ચાલી આવે છે. *ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ-સમૃદ્ઘિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે.*
આપણી સંસ્કૃતિ સાથે પણ કળશ એવો વણાઈ ગયો છે કે, ગીતોમાં પણ એ અદકેરૂં સ્થાન પામ્યો છે. લતા મંગેશકરનું ગાયેલું ને પંડિત નરેન્દ્ર શર્મા રચિત આ ગીત ઘેર-ઘેર જાણીતું છે.
” જયોતિ કલશ છલકે…
જયોતિ કલશ છલકે…”
પહેલાંના સમયમાં કોઈ રાજા જ્યારે હોમ-હવન જેવા ધાર્મિક કાર્યો કરતાં ત્યારે હાથીની સૂંઢમાં જળથી ભરેલા કળશ આપી રાજમાર્ગોને પાણીથી ધોઈ શુધ્ધ કરવામાં આવતાં. પછી, ધાર્મિક કાર્યો કરવામાં આવતાં.એવું કહેવાય છે કે, *કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમાં રૂદ્ર તથા મૂળમાં બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.* કળશ એ *વરૂણ પૂજા નું પ્રતીક* પણ છે. વળી, લક્ષ્મી માતાના ફોટા કે મૂર્તિમાં એમનાં હાથમાં ધનથી ભરેલો કળશ હોય છે. દેવી પુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા અર્ચના કરતા સમયે સર્વ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે.
કળશ માટે કેટલીક પૌરાણિક કથાઓ પ્રચલિત છે…
એક પૌરાણિક કથા અનુસાર, ત્રેતાયુગમાં જનક રાજા જ્યારે ખેતરમાં હળ ચલાવી રહ્યાં હતાં, ત્યારે તેમનું હળ જમીનની અંદર દાટાયેલા કળશ સાથે ભટકાયું હતું. જનક રાજાએ જયારે એ કળશ બહાર કાઢ્યો ત્યારે તેમાંથી એક બાળકી મળી આવી હતી. આ બાળકીનું નામ એમણે સીતા રાખ્યું હતું. જેમને સાક્ષાત શક્તિનો અવતાર માનવામાં આવે છે.આથી, શક્તિના પ્રતીક તરીકે કળશનું પૂજન કરવામાં આવે છે.
એક બીજી કથા અનુસાર, સમુદ્રમંથન સમયે અમૃતથી ભરેલો કળશ મળ્યો હતો. એ અમૃત પીને દેવોને અમરત્વ પ્રાપ્ત થયું હતું. આથી, અમૃત જેવા શુભ તત્વોના આહ્રવાન માટે પણ કળશનું પૂજન કરવામાં આવે છે.
પૂજામાં સોના, ચાંદી, તાંબા કે માટીમાંથી બનેલા કળશ રાખી શકાય. પરંતુ, લોખંડમાંથી બનેલો કળશ પૂજામાં ક્યારેય પણ વપરાય નહીં.
કોઈપણ પૂજામાં કળશના સ્થાપન સમયે, એક બાજઠ પર ચોખા કે મગનો સાથિયો કરવામાં આવે છે. તેના પર જળ ભરેલો કળશ મૂકવામાં આવે છે. ત્યારબાદ, આંબાના કે આસોપાલવના પાન કળશમાંના પાણીને સ્પર્શે તે રીતે ગોઠવવામાં આવે છે અને તેના પર લાલ દોરા કે નાડાછડીથી બાંધીને નારિયેળ મૂકવામાં આવે છે. વળી, કળશને પણ નાડાછડી બાંધવામાં આવે છે. ત્યારબાદ, કંકુ, ચોખા, ફૂલ, દુર્વા, ચંદન, સોપારી, સવા રૂપિયો જેવી શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. આ રીતે, કળશનું સ્થાપન થાય છે. ત્યારબાદ,ધૂપ, અગરબત્તી ને દિવો પ્રગટાવી , ફુલડે વધાવીને કળશની પૂજા કરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે, મંદિરોનું નિર્માણ કર્યા બાદ તેમની ટોચ ઉપર સોના કે ચાંદીના કળશ ચઢાવવાની આપણી સદીઓ જૂની પરંપરા રહી છે. આપણા પ્રાચીન મંદિરોના પરિસર બહુ વિશાળ હતા અને મંદિર એ પરિસરની ઠીક મધ્યમાં બનાવવામાં આવતું હતું. એવું એટલા માટે છે કે, વૈદિક પરંપરામાં જ્યાં સુધી મંદિરના કળશના દર્શન થતાં રહે એટલું ક્ષેત્ર ધર્મક્ષેત્રની અંતર્ગત આવે છે. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી કળશના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા ગણાય.
આમ, કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક, કળશ એટલે પુરૂષાર્થ ને અંતે મેળવેલ કિર્તીનું પ્રતીક.આથી જ, ગીતામાં પણ છેલ્લા અધ્યાયને કળશાધ્યાય કહ્યો છે.
———————————————————
૧૧) રેખા પટેલ “સખી”
શીર્ષક : દિપક
શબ્દ સંખ્યા : ૪૫૦
“હે માનવી તું જ તારો દિપક થા” આ શબ્દો ઘણું કહી જાય છે. માનવીએ પોતાનામાંથી પ્રકાશ મેળવવાનો છે. આત્મા એ જ પ્રકાશ પૂંજ છે. તેને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. તેને જાણી લીધાં પછી કશું જાણવાનું બાકી રહેતું નથી.
ભગવાનની આરતી કરીએ છીએ ત્યારે દીવાનું પ્રાગટય પ્રથમ કરીએ છીએ. ઘરનાં મંદિરમાં અને મનમંદિરમાં પણ પ્રાગટય કરીએ છીએ ત્યારે તેની ઝળહળતી જ્યોતનો પ્રકાશ પ્રભુની મૂર્તિ પર પડે છે ત્યારે એક અદ્ભુત તેજ વલય મૂર્તિની આસપાસ રચાઈ જાય છે અને આપણાં મનને શાંતિ આપે છે એટલે જ આરતી થતી હોય ત્યારે આપણે આ અલભ્ય દર્શન આદર અને સન્માન સહિત કરીએ છીએ.
માનવીનો જન્મ એ તેનું પ્રાગટય છે. દીવાની જ્યોત એ દીવાનું પ્રાગટ્ય છે. સાંજે આપણે પાણિયારા પર અને તુલસી ક્યારે પણ દીવો કરીએ છીએ અને પ્રભુને સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.
“દિપ જ્યોતિ નમસ્તસ્યે નમો નમઃ” કોઈ પુસ્તકના વિમોચનનો પ્રસંગ હોય, પ્રવચન હોય, કથા હોય કે કોઈ પણ શુભ કાર્ય શરું કરવાનું હોય તો પહેલાં આપણે દિપ પ્રાગટય કરીએ છીએ. ઝળહળતી જ્યોત સમો પ્રકાશ સૌના જીવનમાં ફેલાય એવી કામના કરીએ છીએ. જીવનમાં દિપ પ્રાગટયનું ઘણું મહત્ત્વ છે.
જ્યારે ઘરનો મોભી બહાર જાય છે ત્યારે તેની પત્ની કે માતા શુભકામના માટે દીવો પ્રગટાવે છે અને જલ્દી પાછા આવે એ માટે પ્રાર્થના કરે છે. ઓચિંતો દીવો ઓલવાઈ જાય તો અશુભ વિચારો આવે છે કે શું થયું હશે? મન અનેક શંકાઓથી ભરાઈ જાય છે. છેવટે આપણે જે ન સાંભળવું હોય તે સાંભળવા મળે ત્યારે ખૂબ દુઃખી થઈ જવાય છે. સઘળી વેદનાનો પહાડ તૂટી પડ્યો હોય એવી અનુભૂતિ થાય છે. દુઃખનું ચોમાસું કુટુંબની દરેક વ્યક્તિમાં બેસી જાય છે ત્યારે કોણ કોને આશ્વાસન આપે? જ્યારે તેમને ઘેર લાવે છે ત્યારે તેનાં સીર પાસે અખંડ દીવો પ્રગટાવે છે. તેને બુઝાવા દેતાં નથી. આમ તેને તેનાં પથ પર આગળ અજવાળું મળતું રહે એવી ભાવના હોય છે.
ઘણાં પ્રસંગોમાં ઘરની દીકરીઓ હાથમાં દીવો લઈ નૃત્ય કરી પ્રસંગને દિપાવે છે. બધી લાઈટ બંધ કરી જ્યારે નૃત્ય કરે છે ત્યારે ખૂબ સુંદર વાતાવરણમાં દીવાની જ્યોતનો પ્રકાશ લહેરાય જાય છે અને દિવ્ય અનુભૂતિ કરાવે છે.
દિવાળીને દિવસે દીવા ન પ્રગટે તો દિવાળી ફીકી લાગે છે. દિવાળીમાં જ દીવાનો પ્રકાશ સમાયેલો છે. ગમે તેટલાં લાઈટનાં તોરણ લગાવ્યાં હોય તો પણ દીવા વડે ઘરને શણગારે છે. દીવા વડે ખૂણે ખૂણેથી અંધકારનો નાશ કરે છે. “દીવા તળે અંધારું” ભલે હોય પણ તેની જ્યોત અંધારાનો નાશ કરે છે.
કોરોનાને કારણે મોદીજીએ પણ દીવો પ્રગટાવવાનું ચોક્કસ તારીખ ને ચોક્કસ સમયે કહ્યું હતું. સૌ ભારતવાસીઓએ અમે સૌ એક છીએ અને આ મહામારીનો જંગ જરૂર જીતીશું અને કોરોના નામનાં દૈત્યનો જરૂર નાશ કરીશું એમ માની દરેક વ્યક્તિઓએ પોતાનાં ઘરની બાલ્કની, ઝરુખા વગેરે દીવાથી ઝળહળતાં કર્યા હતાં. આખા ભારતને દીવા વડે રોશન કર્યું હતું. સેટેલાઈટથી આવેલી તસવીરો જોઈ ત્યારે લાગ્યું “મારું ભારત કેવું ઝળહળે છે”?
રક્ષાબંધન જેવાં પવિત્ર દિવસે બેન પણ ભાઈની દીવો પ્રગટાવી આરતી કરે છે અને તેની સુખશાંતિ અને લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ પણ બહેનને કહે છે, “આ દીવાની જ્યોતની સાક્ષીએ હું તારું રક્ષણ કરીશ. તારા સીર પર મારો હસ્ત કાયમ આશીર્વાદ આપતો રહેશે “. આવી ભાવના આપણાં જીવનમાં દિપકનું મહત્વ સમજાવી જાય છે.
જ્યારે કોઈને પોતાના નિર્દોષ હોવાની સાબિતી આપવી હોય ત્યારે પણ દીવાની જ્યોત પર હાથ મૂકીને, “હું સાચું બોલું છું “, એવો વિશ્વાસ બતાવે છે.
આપણે જ્યારે ઘીનો દીવો પ્રગટાવ્યે છીએ ત્યારે આપણને યજ્ઞ કરવા જેવો લાભ મળે છે. તેની જ્યોતમાંથી નીકળતાં ધૂમાડાથી પર્યાવરણ શુધ્ધીનું કાર્ય પણ થાય છે.
આપણાં શરીરમાં રહેલા આત્માને દિપક સાથે સરખાવ્યો છે. એ દિપક ઓલવાઈ જાય પછી તેમાં જીવન રહેતું નથી. તેને મૃત્યુ કહે છે. આ શરીરમાંથી આત્માના ગયા પછી તેને સ્મશાનમાં લાવી ચિતા પ્રગટાવી અગ્નિને સમર્પિત થાય છે અને આ પૃથ્વી પરની જીવનની સફર પૂરી થાય છે. પંચમહાભૂત થઈને પ્રકૃતિમાં મળી જાય છે. આમ આપણાં જીવનમાં જન્મથી મૃત્યુ સુધી દિપકનું ખૂબ મહત્ત્વ હોય છે. તેની જ્યોતથી જીવન ઝળહળતું બને છે.
——————————————————–૧૨) પારૂલ મહેતા
શીર્ષક: ભારતીય સંસ્કૃતિનું પ્રતીક_ કળશ
શબ્દો: ૩૬૨
‘મારી ગાગરડીમાં ગંગા જમુના રે, કે પનઘટ પાણી મારે જાવા રે’
નાનપણમાં શાળામાં ગરબામાં ભાગ લીધો હતો ત્યારે મમ્મીએ માળીયેથી નાનકડો કળશો ઉતારેલો. વળેલી ધાર વાળો અને ગોળાકાર ઊપસેલો. ઉપર સરસ મજાની વેલબૂટ્ટા અને ફૂલોની કોતરણી હતી. પછી તો એ કળશ સાથે રીતસરની પ્રીત બંધાઈ ગઈ હતી! હું હાથમાં લઈને ઘરમાં ગોળ ગોળ ઘૂમતી. ત્યારે ક્યાં ખબર હતી કે આ કળશ તો જીવનભર સાથ આપવાનો છે!
થોડી મોટી થઇ એટલે ઘર સજાવવામાં મન લાગ્યું. ઘરમાં બગીચામાંથી ફૂલો એકઠાં કરીને કળશમાં મૂકતી અને કળશની સુંદરતાને એકટક જોયા કરતી! મમ્મી પૂજામાં પણ તાંબાના કળશનો ઉપયોગ કરતી. એને ચકચકતો રાખતી અને એમાં ભરેલા જળ વડે દેવોને સ્નાન કરાવતી હતી. એ સમયે બાજુમાં બેસીને હું સઘળું નિહાળતી અને ધીરે ધીરે હું પણ જળ ભરેલ કળશમાંથી આચમની વડે ભગવાનને નવડાવવા લાગી.
“ આપણે કેમ પ્યાલામાં પાણી નથી ભરતા અને કળશમાં જ ભરીએ છેએ?” હું વિસ્મય સાથે પૂછતી અને મારા બા એમનો જ્ઞાનનો પટારો ખોલી દેતા અને કળશ વિષે સઘળી માહિતી આપતા. બા કહેતા,
“કળશને સુખ-સમૃધ્ધિ, વૈભવ અને મંગલકામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. કળશના મુખમાં વિષ્ણુજીનો નિવાસ, કંઠમા રૂદ્ર તથા તળિયે બ્રહ્માજી સ્થિત છે. કળશના મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે.” હું અહોભાવપૂર્વક કળશને નમન કરતી!
કળશ વરુણ પૂજાનું તેમજ ભારતીય ઉપખંડની પૌરાણિક હિન્દુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા જ માટે મહત્વના બધા શુભપ્રસંગો કળશની ઉપસ્થિતમાં થાય છે. દરેક ધાર્મિક કાર્યોમાં કળશનું મહત્વ રહેલું છે. નવા વર્ષની શરૂઆત, માંગલિક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે પ્રસંગોએ સૌથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. દેવીપુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા-અર્ચના કરતી વખતે સર્વ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. એક બાજઠ ઉપર કળશ અને તેમાં પાણી, આસોપાલવના પાન અને શ્રીફળ મૂકવામાં આવે છે.
કળશમાં જળ ભરીને ઊગતાં સૂર્યદેવતાને જળનો અર્ઘ્ય આપવાનો રીવાજ આપણી સંસ્કૃતિમાં વણાયેલો છે. મંદિરના શીખર પર જડેલા કળશને કીર્તિનું પ્રતીક માનવામાં આવે છે. કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતીક માનવામાં આવે છે કેમેકે એમાં સર્વ દેવીદેવતાઓનો વાસ રહેલો હોય છે.
વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે. આમ કળશ એટલે પૂર્ણતાનું પ્રતીક. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી આપણે મંદિરના કળશના દર્શન કરીએ છીએ અર્થાત આપણા દર્શન સંપૂર્ણતાને પ્રાપ્ત થાય છે. એથી જ તો ગીતાજીને મંદિર અને ગીતાજીના અંતિમ અધ્યાયને કળશાધ્યાય કહયો છે.
——————————————————–
રાજકોટ શાખા
૧) ભારતી ભાયાણી
શીર્ષક: સ્વસ્તિક
શબ્દ સંખ્યા: ૧૭૧
વર્ષોથી આપણે ઘરના ઉંબરા, મંદિર અને શુભ પ્રસંગોએ સ્વસ્તિક જોતા આવ્યા છીએ અને કરતા આવ્યા છીએ. કારણ કે સ્વસ્તિક એટલે કલ્યાણમય. સ્વસ્તિક એટલે મંગલકારી. પ્રાચીનકાળમાં શુભ કાર્ય વખતે મંગલાચરણ લખવાની પ્રથા હતી, પરંતુ દરેક વ્યક્તિ માટે એ શક્ય નથી પરંતુ સ્વસ્તિક તો બધા કરી જ શકે. અમરકોષમાં સ્વસ્તિકનો અર્થ આશીર્વાદ થાય છે તો સ્વસ્તિકને સૂર્યનું પ્રતીક પણ ગણવામાં આવે છે. સ્વસ્તિકની સીધી રેખા જયોર્તિલિંગનું સૂચન કરે છે અને ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર. એટલે કે ઈશ્વરે આ વિશ્વનું નિર્માણ કર્યુ એવી પણ ભાવના છે. ઋગ્વેદની એક ઋચામાં સ્વસ્તિકની ચાર ભુજાને ચાર દિશાની પણ ઉપમા આપવામાં આવી છે. કોઈ સ્વસ્તિકને ‘ૐ’નું પ્રતીક કહે છે તો કોઇ ગણેશની મૂર્તિ સાથે સરખાવે છે પણ સાર એક જ છે કે જ્યાં સ્વસ્તિક છે ત્યાં અમંગળ થતું નથી. સ્વસ્તિક હોય ત્યાં શ્રી લક્ષ્મીજીનો વાસ થાય છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં જૈન અને બૌદ્ધ ધર્મમા પણ સ્વસ્તિકને પૂજનીય માનવામાં આવે છે. ભારત સિવાય જાપાન, કોરિયા જેવા દેશમાં પણ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. પ્રાચીન ગ્રીસમાં સ્વસ્તિકને કપડાં અને સિક્કા પર અંકિત કરવામાં આવેલ છે. આમ સમગ્ર વિશ્વમાં સ્વસ્તિક કોઇ ને કોઇ રૂપે અસ્તિત્વ ધરાવે છે.
——————————————————–
૨) નિમિષા વિજય લુંભાણી ‘વિનિદી’
શિર્ષક : ત્રિશૂળ
શબ્દ સંખ્યા : ૨૦૬
હિંદુ ધર્મમાં ત્રિશૂળનું આગવું મહત્વ છે કારણકે તે પોતે જ અનેક રહસ્યોથી ભરપૂર છે.
તે એક શસ્ત્ર હોવાથી વિનાશનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ તેનાથી આખા સંસારની ગતિવિધિઓ પર અસર થતી જોવા મળે છે.
સંહારનું આ શસ્ત્ર હિંદુ ધર્મનાં અનેક દેવી-દેવતાઓએ ધારણ કર્યું છે.
ભગવાન શિવ સ્વયંભૂ છે અને તેઓ ત્રિશૂળ પોતાની સાથે જ લાવ્યા હતા તેથી જ તમામ પ્રકારનાં શસ્ત્રોનાં તેઓ જ્ઞાની હોવા છતાં અને પિનાક ધનુષ્ય હોવા છતાં પણ તે તેમનું મુખ્ય શસ્ત્ર છે.
શિવજીએ અનેક યુધ્ધમાં, શંખચૂરનાં વધ માટે, ગણેશજીનો શિરચ્છેદ કરવા માટે તેમજ વિષ્ણુજીને મોહજાળમાંથી મુક્ત કરી વૈકુંઠમાં જવા માટે વિવશ કરવા પણ પોતાનાં આ પ્રિય શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.
સંસારમાં રાજસી, સાત્ત્વિક અને તામસિક એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે. ત્રિશૂળનાં ત્રણેય ભાલા સાધકની ત્રણેય પ્રકૃતિનો સંહાર કરીને તેને ‘સ્થિતપ્રજ્ઞતા’ આપે છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ – સંસારનાં આ ત્રણેય શૂળનાં ઉકેલ સ્વરૂપ શિવજી પોતાનું આ પ્રિય શસ્ત્ર પોતાની પાસે રાખે છે.
સર્જન, પાલન અને વિસર્જન – સૃષ્ટિનાં ત્રણેય સ્વરૂપ પર શિવજીનું આધિપત્ય હોવાથી તે તેનું પ્રતિક છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – ત્રિદેવનાં સાથે હોવાનું પ્રતિક છે, જે નકારાત્મક શક્તિને હંમેશા દૂર રાખે છે. હિંદુ ધર્મમાં કાશીનું મહત્વ એટલા માટે પણ છે કે જ્યારે પણ કળીયુગમાં વિનાશની ઘડી આવશે ત્યારે શિવજી પોતાનાં ત્રિશૂળ પર કાશીને ધારણ કરશે. આ દિવસે જે જીવ કાશીમાં હશે તે તરી જશે.
શિવજીની સાથે ત્રિશૂળની પૂજા કરવાથી આધિદૈવિક, ભૌતિક તેમજ પારલૌકિક ત્રણેય સ્વરૂપમાં સુખની પ્રાપ્તિ થાય છે.
———————————————————
૩) ડૉ. રંજન જોષી
શીર્ષક:- સ્વસ્તિક
શબ્દ સંખ્યા:- ૧૨૪
સ્વસ્તિક કે સાથિયો હિંદુ ધર્મમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. લગ્ન, વાસ્તુ, સગાઈ, ખાતમૂહુર્ત દરેક શુભ પ્રસંગે સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ સુ + અસ્ દ્વારા બનેલો છે. સુ અર્થાત્ શુભ કે કલ્યાણકારી. અસ્ અર્થાત્ અસ્તિત્વ, હોવાપણું. જે શુભત્વ પ્રાપ્ત કરાવે તે સ્વસ્તિક. અમરકોશમાં પણ સ્વસ્તિકનો અર્થ મંગલ, આશીર્વાદ કે પુણ્ય સમાન એવો કરવામાં આવ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં પણ સ્વસ્તિક મળી આવ્યા છે જેના પરથી સાબિત થાય છે કે સ્વસ્તિક એ આપણી અતિ પ્રાચીન સંસ્કૃતિ છે. શાસ્ત્રોમાં સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આજે પણ કોઈ પણ પૂજા કાર્યમાં એક મંત્ર બોલાય છે, “સ્વસ્તિ ન: ઈન્દ્રો…” આ મંત્રમાં દરેક દેવતા પાસે સ્વસ્તિ એટલે કે કલ્યાણની કામના કરવામાં આવી છે. આ સ્વસ્તિ એટલે કે કલ્યાણ આપનાર એટલે જ સ્વસ્તિક.
——————————————————- ૪) મનિષા રાઠી
શીર્ષક:દિપક
શબ્દ સંખ્યા:૭૫૦
હિન્દુ ઘર્મમાં દિપકનું કેમ મહત્વ છે ?કેમ કોઇપણ પૂજા દિપક કર્યા વગર અધૂરી માનવામાં આવે છે?તો આવો જાણીએ હિન્દુ ઘર્મમાં દિપકનું મહત્વ:-
આ ધરતી પર રહેવા વાળાં દરેક મનુષ્ય કોઈને કોઇ ઘર્મમાં માને છે અને પોતાની આવનારી પેઢીને પણ આ પથ પર ચાલવા માટે માર્ગદર્શન આપતાં રહે છે.
હિન્દુ ઘર્મમાં અગ્નિને પ્રમુખ દેવ માનવામાં આવે છે. કોઇપણ ઘાર્મિક કામ હોય કે કોઇપણ જાતની પૂજાપાઠ હોય ઘી કે તેલનાં દિપક દ્વારા સોેપ્રથમ અગ્નિને પ્રગટાવવામાં આવે છે. આપણે દિપકનાં રુપમાં અગ્નિને પોતાનાં ઇષ્ટદેવ માની તેમની પૂજા- અર્ચના કરીએ છીએ. આપણાં ઘર્મમાં દિપકને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે.આ જ દિપકની જયોતને પ્રકાશપુંજ તરીકે માનવામાં આવે છે. આ જ પ્રકાશપુંજ આપણને ભગવાન તરફ પહોંચાડવાનું કામ કરે છે. આ જ દિપક રુપી પ્રકાશ આપણાં ઘરથી , મનથી,આપણાં પરિવારથી દરેક પ્રકારનો અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઇ જાય છે.
દિપકનું આપણાં દૈનિક જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. કોઇપણ ધાર્મિક કાર્ય , પૂજા પાઠ, યજ્ઞ કે દેવી -દેવતાનું પૂજનમાં સૌપ્રથમ દિપ પ્રાગટય કરીએ છે.કારણકે, કોઇ પણ પૂજા દિપક કર્યા વગર અધૂરી માનવામાં આવે છે.
માઁ દુર્ગા સામે નવરાત્રિનાં દિવસોમાં કેમ અખંડ જયોત કરવામાં આવે છે?
કારણકે,નવ દિવસોની પૂજામાં સૌપ્રથમ ઘટ સ્થાપના કરવાની સાથે એક જયોત જલાવવામાં આવે છે જેને અખંડ જયોત કહેવામાં આવે છે. ઘી કે તેલ દ્વારા કરવામાં આવતી આ જયોત કરવાથી માઁ દુર્ગાનો આશીર્વાદ મળે છે અને એ જયોતથી આપણું મન શાંત રહે છે અને આપણાં સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ઘી કે તેલનાં દિપકમાં બીમારીઆેને દૂર કરવાની શક્તિ હોય છે. ઘીમાં ત્વચા સંબંધી રોગદૂર કરવાની અને સરસિયાંનાં તેલથી કરવામાં આવતાં દિપકનાં ઘુમાડાંથી અસ્થમા રોગનાં દર્દીઓ ઠીક થાય છે. ઘી કે તેલનાં દીપકથી વાતાવરણ શુદ્ધ થઇ ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇ સકારાત્મક નવી ઉર્જાનો સંચાર થાય છે.
આમ , દિપકથી નીકળતો પ્રકાશ ભગવાન સુધી પહોંચવાનો એક સાધન માત્ર છે.
આ રીતે હિન્દ ઘર્મમાં અને આપણી સંસ્કૃતિમાં દિપક બહું જ મહત્વ ધરાવે છે
———————————————————
૫) ભાવિની વસાણી
શીર્ષક : સ્વસ્તિક
સ્વસ્તિકને હિન્દુ ધર્મમાં શુભનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિઓમાં કોઈપણ શુભ કાર્ય કરતી વખતે લાલ રંગના કુમકુમ વડે કરવામાં આવેલા સ્વસ્તિકનું ખૂબ જ મહત્વ છે. જેનો સામાન્ય અર્થ થાય છે કે ચારો દિશાઓમાંથી શુભ થાય તેની પાછળ અઢળક તથ્યો રહેલા છે.
સ્વસ્તિકમાં ચાર પ્રકારની રેખાઓ હોય છે જેનો આકાર પણ એક સમાન હોય છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ રેખાઓ ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ ઇશારો કરે છે. પરંતુ હિન્દુ માન્યતાઓ અનુસાર આ રેખાઓ ચાર વેદો ઋગ્વેદ, યજુર્વેદ અથર્વવેદ અને સામવેદનું પ્રતીક છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ ચાર રેખાઓ સૃષ્ટિના રચનાકાર ભગવાન બ્રહ્માના ચાર મસ્તકનું પ્રતિક છે. આ સિવાય ચાર રેખાઓ ચાર પ્રકારના પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક, અને ચાર દેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે તુલના કરવામાં આવી છે.
સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની દિશામાં ચાલે છે. જે સંસારને સાચી દિશામાં ચલાવવાનું પ્રતીક માનવામાં આવે છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર જો સ્વસ્તિકની આસપાસ એક ગોળાકાર રેખા દોરી લેવામાં આવે તો તે સૂર્ય ભગવાનનું ચિન્હ માનવામાં આવે છે. અને તે સૂર્યદેવ સમસ્ત સંસારને પોતાની ઉર્જાથી માત્ર પ્રકાશ પ્રદાન કરે છે પરંતુ સૌમાં ઉર્જાનું પરિવહન પણ કરે છે.
———————————————————
૬) વિધિ વણજારા “રાધિ”
શીર્ષક : દિપક
શબ્દ સંખ્યા : ૧૮૩
દિપક એટલે કે દીવો. હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં દિપકને શુભ માનવામાં આવે છે. જેના વગર દરેક પૂજા અધૂરી છે એવા દિપકને હકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. દિપકની જ્યોતિ ખૂબ જ પવિત્ર છે. ઘોર અંધકારમાં જ્ઞાનરૂપી તેજ પાથરી દિપક જીવનને નવી જ ઊર્જાથી ભરી દે છે. પુરાણોની સાથે-સાથે અગ્નિપુરાણ અને વાસ્તુશાસ્ત્રમાં પણ દિપકનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેક પૂજાની શરૂઆત દિપકથી થાય છે. દિપક પ્રગટાવ્યા બાદ જ પૂજા શરૂ કરી શકાય છે. પૂજા દરમ્યાન જો દીવો ઠરી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. અગ્નિપુરાણમાં માત્ર ઘીનો દીવો જ કરવો શ્રેષ્ઠ એવું કહ્યું છે. આપણી સંસ્કૃતિમાં સારા કે નરસા, તહેવાર કે પછી માતમમાં પણ દીવો પ્રગટાવાય છે. દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર દેશ દિપકના તેજથી ઝગમગતો હોય છે. હાલની આ મહામારીની પરિસ્થિતિ વચ્ચે પણ જ્યારે સમગ્ર વિશ્વમાં ડર ફેલાયેલો હતો ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના એક આહ્વાન પર આખુંય ભારત દિપકના તેજથી ઝળહળી ઉઠ્યું હતું અને એક નવી જ ઊર્જાથી આપણે સૌએ કોરોના વિરુદ્ધ જંગ છેડી. પ્રાચીન કાળથી જ દિપકનું માહાત્મ્ય આપણે સૌ સાંભળતા આવ્યા છીએ અને વાર-તહેવારે આપણે સૌ દિપક પ્રગટાવ્યે છીએ. આમ, દિપકનું માહાત્મ્ય હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં અજોડ છે.
———————————————————
૭) અર્ચના શાહ
શીર્ષક-શ્રીફળ
શબ્દ સંખ્યા-૩૭૦
સંસ્કૃતમાં નાળિયેરનાં વૃક્ષ “કલ્પવૃક્ષ” કહેવામાં આવે છે.
જે બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. સનાતન ધર્મમાં શ્રીફળને “મંગળસૂત્ર” કહેવાય છે
તો તંત્રશાસ્ત્ર મુજબ તેને નકારાત્મક ઉર્જા દૂર કરતું અને ભાગ્ય સૂચક માનવામાં આવે છે
*શ્રી* એટલે *લક્ષ્મી* પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતું નથી.
તેથી દરેક શુભ કાર્યમાં શ્રીફળ નો ઉપયોગ ચોક્કસપણે થાય છે. દરેક શુભ કાર્યની શરૂઆતમાં અને
કોઈ પણ શુભ કાર્ય કરીને આવ્યા હોય. કોયપણ કાર્યમાં સફળતા થઇ આવે તો શ્રીફળ થી સામૈયા થાય છે.
હિન્દુ ધર્મના મંદિરોમાં દેવી-દેવતા પાસે શ્રીફળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન દેવ – દેવીને પ્રાચીન સમયમાં આપવામાં આવતું
તેને ગુરુ વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક સૃષ્ટિનાં નર અર્થાત
શ્રીફળનું બલિદાન આપવાનું સૂચન કર્યું. યજ્ઞોમાં અગ્નિમાં એટલે જ શ્રીફળ હોમાય છે.
શ્રીફળ નો આકાર જ ઘણું બધું કહી જાય છે. શ્રીફળ માં બે આંખ અને એક મોઢું હોય છે. દેવી ઓના મંદિરે આખા શ્રીફળ ના તોરણ બધાય છે.
પિતૃ અથવા દેવરૂપે શ્રીફળની મૂર્તિ તરીકે મુકવામાં આવે છે.
શ્રીફળ વધેરવાનું કારણ એવું માનવામાં આવે છે કે તેનાથી અનિષ્ટ શક્તિઓના સંચાર પર અંકુશ આવે છે .
આ વધારેલુ શ્રીફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ તથા
રાહુ શનિની મહાદશા અને જાદુટોના વગેરેનો નાશ થાય છે માટે શ્રીફળ હિંદુ પરંપરામાં પવિત્ર માનવામાં આવે છે.
હિંદુ ધર્મ માં મંદિરોમાં દેવી-દેવતા પાસે શ્રીફળ વધેરવામાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાના અહંકારનો ત્યાગ કરીને પોતાનું સર્વસ્વ ઈશ્વરને સોંપી દે છે .
શ્રીફળ માં ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે
જે આપણી બધી ઈચ્છાઓ અને પૂર્ણ કરે છે.
શ્રીફળ એ આપણને ચારિત્ર પૂજાની પ્રેરણા પણ આપે છે.
બાહ્ય સૌંદર્ય ના અભાવથી નાનપ અનુભવતા નાળિયેર એ પોતાનું આંતર સૌંદર્ય એવું ખીલવી દેખાડ્યું અને એ રીતે “શ્રીફળનું” ગૌરવવંતુ નામ પ્રાપ્ત કર્યું .
માનવ જો ધારે તો પોતાનું અંતર સૌંદર્ય ખીલી ને પવિત્ર અને સર્વપ્રિય બની શકે છે. સારા દેખાવા કરતાં સારું બનવું તેવું શ્રીફળ આપણને શીખવાડે છે.
———————————————————
૮) પંચશીલા હિરાણી (પંછી)
શીર્ષક : ત્રિશુળ
શબ્દ સંખ્યા- ૧૩૫
આપણા હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ દરેક વસ્તુનું કઈં ને કઈં આગવું મહત્વ છે. ત્રિશુળએ લગભગ દરેક દેવી દેવતાઓના આયુધ તરીકે તેમના હાથમાં શોભાયમાન હોય છે.ત્રણ શુળથી બનેલું
ત્રિશુળ એ આધ્યાત્મિક જગતમાં ત્રણ નું મહત્વ સમજાવે છે.જેમકે, આપણા મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ. ત્રણ ગુણ સત્વ, રજ,અને તમ.ત્રણ શરીર સ્થૂળ,સૂક્ષ્મ,અને કારણ.કાળ પણ ત્રણ ભૂત,ભવિષ્ય,અને વર્તમાનકાળ. ત્રણ નાડી ઈડા,પિંગલા,અને સુષુમ્ણા. મનુષ્ય જીવનની મુખ્ય ત્રણ અવસ્થા બાલ્ય,યુવા,અને વૃદ્ધાવસ્થા. શરીરના ત્રણ દોષો વાત,પિત્ત,અને કફ.
જ્યારે, કોઈ દેવી-દેવતા દ્વારા કોઇ આસુરી શક્તિનો ત્રિશુળ દ્વારા વધ કરવામાં આવે છે ત્યારે, આમ તો એનો અર્થ એ હોય છે ત્રણેય દેહથી પર આત્મા પરમાત્મામાં વિલિન થાય. એજ કદાચ પ્રતીક હોતું હશે ત્રિશુળ દ્વારા થતા વધનું.
આમ ત્રિશુળ ત્રયાત્મક છે. ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, અને ત્રણ કાળના પ્રતિક સમુ છે.
———————————————————
મુંબઈ શાખા
૧) જયોતિ ઓઝા
શીર્ષક :- કળશ
શબ્દ સંખ્યા :- ૧૬૦
આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતા. ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન. આપણા ઋષિઓએ નાના એવા પાણીના લોટામાં બિંદુમા સિંધુના દશૅન કરાવ્યા છે. કળશ પર શ્રીફળ મૂકવાથી તેની શોભા દ્વિગુણિત થાય છે.
ધમૅ શાસ્ત્રો અનુસાર કળશને સુખ- સમૃદ્ધિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. કળશમાં પાણી ભરીને સૂર્યને જળ અપૅણ કરવામાં આવે છે.
આધ્યાત્મિક મૂલ્યાંકન :-
કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતિક છે. તેથીજ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગ કળશની શાક્ષી અને સાનિધ્યમાં થાય છે. કળશ સજાવતા જ વરુણદેવ તેના પર આવી બિરાજે છે. વાસ્તવમાં કળશ એટલે લોટમાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે. પરંતુ તેની સ્થાપના પછી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.
વૈજ્ઞાનિક મૂલ્યાંકન :-
દેવ,તીર્થ, બ્રાહ્મણ, મંત્ર, જયોતિષ, વૈધ તેમજ ગુરુના બારામાં જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ મળે છે. આપણા પૂવૅજો સૂયૅને ફક્ત જડ ગોળો ન સમજતાં દેવ સમજીને તેની ઉપાસના કરતાં હતા. વરુણને ફકત વરસાદ ન સમજતા દેવ સમજીને તેનું પૂજન કરતાં હતા અને કળશ એ વરુણ પૂજાનું પ્રતીક છે.
સંસ્કૃતિની જયારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે જો વષાૅ ન હોય તો જીવન સુકાઈ જાત, તે આપણી સેવા કરે છે. આપણને જીવતદાન આપે છે. તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ. પરંતુ તેમા એક અગવડ આવી વરસાદ તો ફકત ચાર જ મહિના આવે. આપણા પૂવૅજોએ તેમાંથી રસ્તો કાઢયો કૂવા,તળાવ,નદી બધાનું પાણી વરસાદે જ આપ્યું છે. એકાદ લોટામાં કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ. આ મંગલ ભાવના સાથે કાળકરમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતિકનું સજૅન કયુૅં. અને તે કળશનું પૂજન કયુૅં.
__________________________________
૨) કિરણ ગોરડીયા
શીર્ષક-સ્વસ્તિક
સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું મંગલ પ્રતીક છેં. સ્વસ્તિક શુભ કાર્યોનું મંગલ પ્રતિક છે. ઇશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું એવો સ્વસ્તિકનો મુળ ભાવાર્થ છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે વિષ્ણુ ભગવાનનાં ચાર હાથ. સ્વસ્તિક શાંતિ, સમૃદ્ધિ, તેમજ માંગલિક પ્રતિક છેં. લાલચટક કંકુથી સોભાગ્યવતી સ્ત્રી પોતાના ઘરના ઉંબરે સ્વસ્તિક બનાવે છે. એને સાથિયો પણ કહેવાય છેં. ઘરના ઉંબરે સ્વસ્તિક કરવાથી જીવનમાં આવતી બાધા, વિઘ્નો અને અમંગળ દુર થાય છેં. ધાર્મિક પ્રસંગો, વાસ્તુપુજન, બધાય શુભ કાર્યોમાં સ્વસ્તિકને અનેરું સ્થાન છે. દિવાળીના દિવસોમાં ગૃહલક્ષ્મિ હોંશે હોંશે નવી, નવી ડીઝાઇનના સાથાયાના સ્ટીકરો લાવી ધનતેરસનાં દિવસે ઘરનાં ઉંબરે લગાડીને લક્ષ્મીજીનાં આશીર્વાદ માંગે છે. લક્ષ્મીજી સદાય અમારાં ઘરમાં વાસ કરો. સ્વસ્તિક કરવાં આંગળીએ કંકુ લઇ નીચેથી ઉપરની તરફ લઇએ તો એ ચડતીની નીશાની છે. (નાથદ્વારામાં ધૃવબારીની નીચે “માનતાનો” સાથિયો ઘણા વૈષ્ણવો કરે છે. ત્યાંના પંડાઓએ આ જાણકારી આપી છે.)
__________________________________
૩) ગીતા પંડ્યા
શીર્ષક – કળશ
શબ્દ સંખ્યા — ૨૭૦
ભારતીય સંસ્કૃતિના મૂલ્યોમાં ધર્મનું સ્થાન ગૌરવવંતુ રહ્યું છે. આપણા ધર્માચરણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સૂક્ષ્મરીતે જોડાયેલો છે. આદિકાળથી આપણા હિંદુધર્મ સંસ્કૃતિના કેટલાક પ્રતિકોને આપણે પૂજતા આવ્યા છીએ, કળશ એમાંનું એક અગ્રગણ્ય પ્રતિક છે.
કળશ એટલે પૂર્ણતા, માન, સન્માન, કિર્તી, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક.
ધર્મ અને આધ્યત્મિકતા એક સિક્કાની બે બાજુ છે. આ પ્રમાણે કળશને મૂલવીએ.
કળશ બ્રહ્માંડ, વિરાટ બ્રહ્મા અને ભૂપિંડનું પ્રતિક છે. પ્રત્યેક શુભ પ્રસંગે થતી પૂજા કળશ પૂજા વિના પરિપૂર્ણ નથી થતી. પૂજન સમયે દેવી, દેવતાઓ, તીર્થસ્થાન, સમુદ્રો અને પવિત્ર નદીઓનું આહવાન કરવામાં આવે છે. આપણે દરેક જગ્યાએ પહોંચી નથી શકતા એટલે શ્રદ્ધા પૂર્વકનાં આહવાનમાં આપણે તમામ ઈશ્વરીય શક્તિનો આવિર્ભાવ આ કળશમાં કરીએ છીએ.
પૂજન પછી કળશમાંના દિવ્ય જળનો આપણા પર છંટકાવ કરીને એક પવિત્ર ભાવથી પલ્લવિત થઈએ છીએ.
કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં રુદ્ર, મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં દૈવીય માતૃશક્તિ નિવાસ કરે છે. આ સાથે વરુણ પૂજાનું પણ મહત્વ જોડાયેલું છે.
મંદિરના શિખર પર સ્થાન પામેલો કળશ કિર્તી કળશ છે.
સમુદ્ર મંથનમાં મળેલો અમૃત કળશ છે.
નવરાત્રીમાં ઝળહળતો દીપ્ત કળશ છે.
ગૃહપ્રવેશ, ગૃહ નિર્માણ સમયે રખાતો કળશ (કુંભ) પ્રગતિનો,હર્ષનો કળશ છે
એક નજર વૈજ્ઞાનિકતા તરફ કરીએ, આવો.
તાંબા, પિત્તળ, સુવર્ણ કે પંચધાતુનો કળશ ધાતુની મહત્તા સમજાવે છે. માટીનો કળશ શીતળતા બક્ષે છે. કળશના મુખે પંચ પલ્લવનો શણગાર, તેમાં મુકવામાં આવતા પંચ રત્નો સમૃદ્ધિ અને જળ શુધ્ધતાનું પરિમાણ છે. તેના પર મુકાતું શ્રીફળ હકારાત્મક ઉર્જાનાં ઉર્મિ તરંગો લયાન્વિત કરે છે! આવા કળશથી વધારે વૈભવશાળી શું હોઈ શકે?
અંતિમ ચરણમાં એ કહેવાનું ગમશે કે આપણું શરીર પણ પંચમહાભૂતોનો એક દિવ્ય કળશ છે. જળતત્વ શરીરને કાંતિ અર્પે છે. જીવ ઝળહળ જ્યોત છે. આત્મા એ દૈવી શક્તિ છે.આવો, આપણા દેહરુપી કળશને પણ મંગલકારી કરીએ.
__________________________________
૪) શાહ રક્ષા
શીર્ષક : ત્રિશૂળ
‘મહેશાન શૂલિન્ જટાજૂટધારિન્ ‘
શિવ ‘શૂલિન્’ છે.
સંસ્કૃત ભાષામાં શૂળનો અર્થ ‘વ્યથા’ થાય છે..અને ‘ત્રિ’ એટલે ત્રણ..
ભગવાનનાં હાથનું ત્રિશૂળ સજ્જનોને માટે આશ્વાસન અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે.
આવો આપણે ‘ત્રિ’ના માધ્યમથી ‘શૂળ’ને ત્રિશૂળથી આહવાન કરીએ..
પ્રથમ ત્રિ :બ્રહ્મનાદથી શિવનું પ્રાગટય થયું ત્યારે તેમની સાથે રજ,તમ ને સત આ ત્રણ ગુણ પણ પ્રગટ થયા અને આ ત્રણ ગુણ ત્રણ શૂળ એટલે ત્રિશૂળ બન્યાં. આ ત્રણ ગુણો વચ્ચે સામંજસ્ય બનાવવાનું કઠિન હતું તેથી ત્રિશૂળના રૂપમાં શિવજીએ હાથમાં ધારણ કર્યું….
બીજો ત્રિ : આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારની વ્યથાને શિવ ત્રિશૂળથી તોડી નાખશે…
ત્રીજો ત્રિ: દેહબુધ્ધિ, જીવબુધ્ધિ અને આત્મબુધ્ધિ ચિત્ત એકાગ્રતા માટે અવરોધક છે..ચિત્ત એકાગ્ર નહીં થાય ત્યાં સુધી નિર્વિકલ્પતાની અનુભૂતિ નહીં થાય..બસ,આ દોષને ખંડિત કરવા શિવ ત્રિશૂળનો સહારો લે છે.
ચોથો ત્રિ : માણસ ક્રિયાદુષ્ટ, મનોદુષ્ટ અને વાચાદુષ્ટ છે. દુષ્ટ એટલે ક્રિયા ન કરનાર. આમ જે ક્રિયાચ્યુત થાય તેને ક્રિયાવાન બનાવવાની તાકાત ત્રિશૂળમાં છે.
જેવી રીતે ત્રિશૂળ વિધ્વંસ ,નિષેધાત્મક છે તેમ રચનાત્મક પણ છે.ત્રિશૂળ એટલું પવિત્ર છે કે ભગવાન સહેજ લગાડે તો માણસનું માનસિક સૌંદર્ય વધે..વાચામાં સુંદરતા આવે..આમ કેટલીક વાતોનો જીવનમાં ઉમેરો થાય છે..ત્રિશૂળ એ ડરવાની વાત નથી તે આશ્વાસનદાયક છે..
_________________________________
૫) નીતા જયેશ છેડા
શીર્ષક : દિપક
શબ્દ સંખ્યા :289
દિપ, દિપક, દીવડો તરીકે ઓળખાતા દિવાથી નાનું બાળક પણ અજાણ્યું નથી. હિંદુ સંસ્કૃતિમાં દિવાનું અનેરું મહત્વ છે. કોઈપણ કાર્યક્રમની શરૂઆત કે પૂજા આદિ મંગળકાર્યો દિપ પ્રાગટ્ય વગર થતાં નથી.
સુંદર અને કલ્યાણકારી દિપક આરોગ્ય અને સંપત્તિ પ્રદાન કરનાર છે. પારંપરિક દિવો માટીનો બનેલો હોય છે. આધુનિક સમયમાં દિવો અને દિવડી વિવિધ ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. દિવામાં પાંચ તત્વો સમાયેલા છે : અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણાં અનુષ્ઠાનમાં આ પાંચે તત્વોની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવે છે.
દરેક ઘરમાં સવારે અને સાંજે દિવા બત્તી કરીને ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે છે. દિવા બત્તી માટે મુખ્યત્વે ગાયનાં ઘીનો ઉપયોગ થાય છે ; એવું કહેવાય છે કે ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે પણ આધુનિક વિજ્ઞાનના મતે ગાયનાં ઘીનો દિવો કરવાથી વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી નિરાશા દૂર થતાં મન પ્રફુલ્લિત રહે છે. આધુનિક વિજ્ઞાને એ પણ નોંધ્યું છે કે રોજ વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને દિવા બત્તી કરી યોગ અને પ્રાણાયમનો અભ્યાસ કરવાથી મેદસ્વિતા, સંધિવાત જેવા અનેક રોગોમાં આશ્ચર્યજનક પરિણામો મેળવી શકાયાં છે. તુલસી ક્યારે દિવો કરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે. તુલસી શ્રી વિષ્ણુને પ્રિય છે. વૈજ્ઞાનિકોના મત પ્રમાણે તુલસી આપણા આરોગ્યનું રક્ષણ કરનારી છે. તુલસીને લીધે વિષાણુઓ આઘાં રહે છે. પારંપારિક માન્યતા પ્રમાણે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. પીપળાના વૃક્ષ પાસે દિવો કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે પીપળો મહત્તમ પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડે છે જે જીવસૃષ્ટિ માટે આવશ્યક છે.
નવજાત શિશુના જન્મના છઠ્ઠા દિવસે માટીનો દિવો કરીને શિશુના ઉજ્જવળ ભાવિ માટે છઠ્ઠી માતાને પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે મૃતકને અંતિમ વિદાય આપવા સુધી એના શબ પાસે દિવો કરીને એની આત્માની સદગતિ અર્થે પ્રાર્થના કરવામાં આવે છે.
એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે અંધકારને ચીરતો દિપક માણસની ગળથૂથીથી ગંગાજળ સુધીની યાત્રાનો સાક્ષી બની રહે છે. છેલ્લે આ શ્લોક સાથે વિરમું છું :
શુભમ્ કરોતિકલ્યાણં
આરોગ્યં ઘન સંપદા,
શત્રુ બુદ્ધિ વિનાશાય
દિપજ્યોતિ નમોસ્તુતે!
__________________________________
૬) લતા ભટ્ટ
શીર્ષક :- જ્ઞાનરૂપી પ્રકાશનું પ્રતીક-દીપક
શબ્દ સંખ્યા :- ૩૮૩
શ્રી ચિનુ મોદીની એક પ્રસિદ્ધ કવિતા છે:
પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આ કવિતાને થોડી આગળ વધારીએ તો આપણી પાસે જ્ઞાનરૂપી પ્રકાશના નામે દીપક છે. ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક કે ધાર્મિક ગૂઢતા કે ગહનતાને સમજવા પ્રતીકોનો ઉપયોગ થાય છે આ પ્રતીકો એવા હોય છે જે રોજબરોજ આપણી નજર સમક્ષ રહેતા હોય અને જેનું સ્થાનાંતર શક્ય હોય. આવા પ્રતીકો દ્વારા લોકો સરળતાથી જ્ઞાનને સમજી શકે, તેને આત્મસાત કરી શકે.
પ્રાચીન સમયમાં જયારે વીજળીની શોધ નહોતી થઇ કે ગામેગામ વીજળી નહોતી પહોંચી ત્યારે આ દીપક ઘરમાં ઉજાસ પ્રગટાવવાની મહત્વની ભૂમિકા નિભાવતો. કોઈ કવિએ પણ સાચું જ કહ્યું છે, “નથી થવું મારે ચંદ્ર સુરજ, બસ એક કોડિયું બનું તો ઘણું !”
આ દીપપ્રાગટ્ય અનેક ધાર્મિક વિધિઓનું એક અનિવાર્ય અંગ છે. એ વિધિમાં ક્યારેક તેલ કે ઘીનો દીવો કરવામાં આવે છે. ક્યારેક તો અખંડ દીપ પણ રાખવામાં આવે છે. કોઈ તહેવારને તો દીપક વિના કલ્પી શકાય ? દીપાવલીમાં આજે ભલે કૃત્રિમ ઝગમગાતી રોશનીની ઝાકઝમાળ આવી ગઈ હોય પણ આંખને તો હજુ ય એ જ દીપકની હારમાળા ગમે છે અને મનને શાંતિ ય આપે છે. માનવ જીવનને ઉન્નતિને મારગ લઈ જતા આપણાં ઋષિમુનિઓ દ્વારા પ્રસ્થાપિત સોળ સંસ્કારોમાં એટલે કે ગર્ભાધાન સંસ્કારથી માંડીને મૃત્યું સમયે કરાતાં અંતિમ સંસ્કારોમાં દીપપૂજન અને દીપપ્રાગટ્ય અનિવાર્ય છે. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા દીપપ્રાગટ્યથી જ થાય છે તો વળી શોરૂમ, દુકાન કે ધંધાના ઉદઘાટનમાં પણ દીપ પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત ઘરમાં અને વેપારધંધાના સ્થળે સાંજ સવારે દીવો કરવામાં આવે છે, તેનાથી સકારાત્મક ઉર્જા મળે છે કેટલાંક ઘરોમાં તુલસીક્યારે તો ક્યારેક પિતૃપ્રીત અર્થે પાણિયારે દીવો કરવામાં આવે છે.
શ્રી ભગદગોમંડળ જ્ઞાનકોશમાં ‘દીપક’ શબ્દનો અર્થ આ રીતે આપેલ છે: દીપાવનારૂં,.પુષ્ટિ કરવાવાળું,.પ્રકાશક; પ્રકાશિત કરનાર; દીપ્તિકારક. આ ઉપરાંત દીપક નામના રાગનો પણ તેમાં ઉલ્લેખ છે. શુદ્ધ દીપકની અસર એટલી બધી છે કે દીપક ગાવાથી વિના અગ્નિએ દીવા પ્રકટાઈ જાય અને ગાનારના હૃદયમાં અગ્નિ પ્રકટે. અકબરના ગવૈયા તાનસેને આ રાગ છેલ્લો ગાયો હતો, ત્યાર પછી તેનો લોપ થયો છે. આ ઉપરાંત કુળને ઉજાળનાર માટે પણ કુળદીપક જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. સંતાન કુળને ઉજાળે તે હેતુથી જ કદાચ દિપક, દીપ, દીપા, દિવા, દિયા દીપિકા જેવા બાળકોના નામ પાડવામાં આવે છે.
દિપક એટલે આમ જોઈએ તો માટી કે અન્ય ધાતુનું ક્ષુલ્લક કોડિયું પણ તેમાં રહેલ જ્યોત અણમોલ છે. આ જ્યોતથી અનેક જ્યોત પ્રગટાવી શકાય છે. આ જ્યોત આપણા સૌના જીવનને ઉજાળે તે જ પ્રાર્થના સાથે …
__________________________________
૭) અલ્પા શાહ.(નીરૂષા.)
શીર્ષક:: સ્વસ્તિક
પ્રાચીન કાળથી માનવે નિર્માણ કરેલું
અર્થસભર ધાર્મિક ભાવનાનું પ્રતિક એટલે સ્વસ્તિક. શુભ કાર્યોમાં,શુભ પ્રસંગે બનાવવામાં આવતું એક નિશાન એટલે સ્વસ્તિક.
હિંદુ સંસ્કૃતિમાં સાથિયોં,સ્વસ્તિ કે સ્વસ્તિક તરીકે ઓળખવામાં આવતું નિશાન. જેને વિષ્ણુ ભગવાનનું
આસન અને લક્ષ્મી દેવીનું સ્વરુપ ગણવામાં આવે છે.
ચંદન ,કુમકુમ,સિંદૂર કે હળદર થી બનાવેલ સ્વસ્તિક ગ્રહદોષ પણ દૂર કરી શકે છે.સ્વસ્તિકનો સંબંધ વાસ્તુ સાથે પણ છે.સાથિયોં દરેક દિશામાંથી જોતા એક જેવો જ દેખાય છે.આ ખ ખૂબીને કારણે જ ઘરમાં રહેલ વાસ્તુદોષને ઓછુ કરવામાં મદદ કરે છે.
માનવ સમાજનું મંગલ કલ્યાણ થાય,સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થય જળવાઈ રહે તે માટે સેંકડો ઋષિમુનિઓએ આ મંગલકારી સ્વસ્તિકનું પ્રતિક આપ્યું છે.
હિંદુ સંસ્કૃતિમાં જેમ દરેક શુભ કાર્યમાં શ્રી ગણેશ ની પૂજા અર્ચના કરાય છે એજ રીતે સ્વસ્તિકને પણ શુભ પ્રસંગે હંમેશા પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. પૂજા,અર્ચના,લક્ષ્મી પૂજા,માંગલિક
પ્રસંગ કે નવજાત શિશુના છઠીના લેખ લખવાનો પ્રસંગ હોય કે ઉંબરો પૂજન
દરેક પ્રસંગે કુમકુમથી સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિક એ વિશ્વકલ્યાણની સ્થાપનાનું મંગલમય કામનાનું પ્રતિક.
સ્વસ્તિકના ચાર ચરણ એટલે
ચાર દિશા,ચાર અપાર શક્તિ કીર્તિવાળા ઈન્દ્ર ભગવાન,સર્વવ્યાપી એવા પોષણ કરનાર સૂર્ય ભગવાન,વિષ્ણુ ભગવાનનું વાહન ગરૂડ,ગુરુ બૃહસ્પતિ આપ સર્વે અમારુ કલ્યાણ કરો ,રક્ષણ કરો એવી પ્રાર્થના કરતો મંત્ર છે.
કહેવાય છે કે સ્વસ્તિકના ચાર ચરણ એટલે વિષ્ણુ ભગવાનની ચાર ભુજા પણ છે.જ્યાં આ ચાર મળે છે , તે મધ્યબિંદુ એટલે આભુ કહેવાય.આ મધ્યબિંદુ એટલે વિષ્ણુ ભગવાનનું નાભિકમળ છે.
જૈન ધર્મ પ્રમાણે એ ચાર ગતિનું કારક છે.બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિક મંગલકારી છે.ક્રોસ પણ સ્વસ્તિકનું પ્રતિક જ ગણાય છે. ઇશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું છે એવો સ્વસ્તિકનો મૂળ ભાવાર્થ છે.
__________________________________
૮) શિલ્પા શેઠ
ગામનું નામ : મુંબઈ
શીર્ષક : દિપક
શબ્દ સંખ્યા – 223
દીપ પ્રજ્વલિત કરતી વખતનો મંત્ર:
दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योति र्जनार्दन:।
दीपो हरतु में पापं दीप ज्योतिशे नमोस्तुते।।
દીપક-જ્યોતિ પરબ્રહ્મ સ્વરૂપ છે લોકોનું પાલન કરનાર અને પાપોનું હરણ કરનાર છે. એવી પવિત્ર જ્યોતિને પ્રણામ.
પ્રકાશનું સ્તોત્ર દિપક જીવનને જ્ઞાનની જ્યોતથી પ્રકાશિત કરવાનું કહે છે. પરમાત્મા પાસેથી આપણને યોગ્ય જ્ઞાન મળે એ માટે દીપ પ્રજ્વલિત કરવાની પરંપરા છે.
જેમ દીપકની જ્યોતિ હંમેશાં ઉપરની તરફ જ ગતિમાન હોય છે એ જ પ્રકારે મનુષ્યની વૃત્તિ પણ ઉપરની તરફ ગતિમાન કરે, પ્રગતિ તરફ પ્રયાણ કરે એ જ દીપ પ્રાગટ્ય નું મહત્વ છે.
હકારાત્મક અને પવિત્ર ઉર્જા ધરાવતું દીપકનું અસ્તિત્વ સર્વ જગતમાં, દરેક કાર્યમાં, સર્વ લોકોમાં પ્રચલિત છે તેમજ માન્ય છે. એટલે જ કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા દીપ જ્યોત પ્રગટાવીને વાતાવરણને શુદ્ધ કરવાનું મહત્વ છે. અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ જીવનને લઇ જવાનો ઉત્તમ પ્રયાસ છે.
વિવિધ પ્રકારના દિપક આપણા ધર્મકાર્યમાં ઉપયોગમાં લેવાય છે પણ સૌથી વધારે પ્રચલિત માટીનું કોડિયું છે. જેમ જ્યોતિના લોપ પછી માટીનું કોડિયું ફરી નથી વપરાતું, એમ જીવનમાં આત્માના ગમન પછી શરીરને પ્રકૃતિમાં એકાકાર કરવામાં આવે છે. આ શરીર માટે નું બનેલું છે અને માટીમાં મળી જવાનું છે એ ભાવ પણ આ દિપક આપણને સમજાવી જાય છે.
આપણા ધર્મમાં, સંસ્કૃતિમાં જે પણ પ્રતીકો વપરાયા છે એમનું વૈજ્ઞાનિક પણ એટલું જ મહત્વ રહ્યું છે. ધર્મગ્રંથો દ્વારા દિપકનું પણ એ જ મહત્ત્વ આપણને સમજાય છે.
અંતમાં એટલુંજ કહીશ…
તમસો માં જ્યોતિર્ગમય..
__________________________________
૯) અલ્પા પંડયા દેસાઈ.
કળશ
કળશ એ ભારતીય સંસ્કૃતિનું સર્વોત્તમ પ્રતીક છે.કળશ એ વરુણપૂજાનું પણ પ્રતીક છે.કળશ એ માનવદેહનું પણ પ્રતીક છે.સ્થાપત્ય શાસ્ત્રમાં પણ કળશનું આગવું મહત્ત્વ છે.
ભગવાનના મંદિરના શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક શુભ પ્રસંગે કળશપૂજન કરવામાં આવે છે.શ્રીફળ સાથે કળશ માથા પર મૂકી કુમારિકાઓ ભાવભીના અતિથિઓનું સ્વાગત કરે છે.
કળશપૂજનના આ ગૌરવવંતા પ્રતીક પાછળ એક ભાવજગત સમાયેલું છે.
પરમાત્માના મંદિર પર બિરાજમાન કળશ આપણને સૂચવે છે કે નાનામાં નાનો માણસ પણ સત્કર્મો દ્વારા મહાનતાના શિખરે પહોંચી શકે છે.
શુભપ્રસંગે જ્યારે કળશપૂજન કરવામાં આવે છે ત્યારે તેમાં જૂદી-જૂદી નદીઓનું પાણી ભરવામાં આવે છે ત્યારે તેમાં એ મંગલ ભાવના સમાયેલી છે કે જળ એ જ જીવન છે.આમ,કળશપૂજનમાં વરુણદેવતાની પૂજા કરવામાં આવે છે.
શુભપ્રસંગે કળશપૂજન થાય ત્યારે તેમાં વેદો,સમુદ્ર,નદીઓ,ગાયત્રી,સાવિત્રી વગેરે દેવોની સ્થાપના કરવામાં આવે છે…પ્રકૃતિના તત્ત્વોની તાકાતનું દર્શન કરાવે છે આ મંગલમયી ભાવના…
કળશમાં બ્રહ્માંડની વ્યાપકતા દર્શાવતાં ૠષિઓ પ્રાર્થે છે:
कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः।
मुखे तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः।।
कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुंधरा।
ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो ह्यथर्वणः।।
अंगेश्च संहिताः सर्वे कलशं तु समाश्रिता।
अत्र गायत्री सावित्री शांति पुष्टीकरी तथा।।
सर्वे समुद्राः सरितस्तीर्थानि जलदा नद्यः।
आयान्तु मम शांत्यर्थं दुरितक्षयकारकाः।।
આમ,કળશ એ તો બિંદુમાં સિન્ધુનું દર્શન કરાવે છે.કળશ રૂપી દેહમાં રહેતો જીવાત્મા વ્યાપક ચૈતન્યનો એક અંશ છે.
_________________________________